Rajkot: કોટડાસાંગણીના યુવકે રક્ષાબંધનના દિવસે જ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવકે બહેન પાસે હાથે રાખડી બંધાવી દીધા બાદ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકીને જિંદગી ટૂંકાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે કોટડાસાંગણીના જૂની ખોખારીમાં રહેતો યશ સરવૈયા (21) પોતાની બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ ઘરેથી નીકળીને અરડોઈ ગામની સીમમાં આવેલા હડમતાળા અને રીબડા વચ્ચેના રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો.
જ્યાં બપોરે 2 વાગ્યાની આસપાસ પસાર થતી વેરાવળ-પૂના રૂટની ટ્રેન નીચે યશે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ મામલે રીબડા રેલવે સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવતા કોટડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યશ કારખાનામાં કામ કરતો હતો. હાલ તો પોલીસે યશના અંતિમ પગલાનું કારણ જાણવા માટે તેના પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
