Anand | Gambhira Bridge Collapse: મુજપુર-ગંભીરા બ્રિજ પર ગત 9 જુલાઇના રોજ બનેલી દુર્ઘટનામાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં રહેલું શિવમ રોડલાઇન્સનું ટેન્કર 27 દિવસ સુધી બ્રિજ પર લટકતું રહ્યું હતું. ટેન્કર ખાલી હોવા છતાં લાંબા સમય સુધી બહાર ન કાઢાતા માલિકને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવામાં આણંદના સાંસદ ટેન્કર માલિકની મદદે આવ્યા છે.
હકીકતમાં ટેન્કર પર આશરે રૂપિયા 30 લાખની લોન અને દર મહિને 80,000 રૂપિયાનો હપ્તો હતો. જો કે અકસ્માત બાદ પૈડા થંભી જતાં હપ્તો ભરવાની ચિંતાએ ટેન્કર માલિકની ચિંતા વધારી દીધી હતી. આ સમયે આણંદના સાંસદ મિતેષ પટેલે ટેન્કર માલિક રમાશંકર પાલને પોતાના પગારમાંથી એક મહિનાના હપ્તાની રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું.
આજે દિલ્હીથી પરત ફરતાં સાંસદે પોતાના વચનનું પાલન કરતાં રૂ. 80,000નો ચેક આપ્યો હતો. આણંદ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનાની યાદ સાથે સાંસદનો આ સહાયભર્યો સંકલ્પ લોકચર્ચાનો વિષય બન્યો છે.
આ પગલાને કારણે ટેન્કર માલિકે રાહતનો શ્વાસ લીધો છે અને સાંસદના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ મિતેષ પટેલે જણાવ્યું કે, આપત્તિના સમયમાં સ્થાનિક ઉદ્યોગકારો અને પરિવહન વ્યવસાયીઓને મદદ કરવી એ તેમની નૈતિક જવાબદારી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સૂચન પર, આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી અને પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન સેલ્વેજિંગ નિષ્ણાતોએ બલૂન ટેકનોલોજી દ્વારા ટેન્કરને સલામત રીતે બહાર કાઢ્યું હતું.
