Rajkot: ગોંડલમાં ગુપ્તાંગમાં ગંભીર ઈજા બાદ શરમ અને બદનામીની બીકે યુવકનો આપઘાત, બનેવીએ લાશ દાટી પુરાવાનો નાશ કર્યો

લીલા નારિયેળમાંથી પાણી કાઢવાના ત્રોફામાં ફસાયેલું ગુપ્તાંગ કાઢવાના ચક્કરમાં ચામડી ઉતરી જતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 04:29 PM (IST)Updated: Wed, 28 Jan 2026 04:29 PM (IST)
rajkot-crime-news-gondal-youth-dies-by-suicide-following-private-part-injury
HIGHLIGHTS
  • અમદાવાદની હોસ્પિટલમાં સફળ સર્જરી કરાવી યુવકને ઘરે લવાયો હતો
  • ભાઈની ભાળ ના મળતા બહેને ધમપછાડા કરતાં બનેવી ભાંગી પડ્યા

Rajkot: ગોંડલ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 18 વર્ષના એક યુવકે ગુપ્તાંગ ઉખડી ગયા બાદ સમાજમાં બદનામીની બીકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોંડલમાં રહેતાં આશરે 18 વર્ષના એક યુવાનને ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ સાથે ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. હોસ્પિટલ ચોકીમાં થયેલી નોંધ અનુસાર આ યુવાનને કોઇ આકસ્મિક બનાવમાં ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યે ગુપ્તાંગમાં અત્યંત ગંભીર ઇજા થઇ હતી.

રાજકોટથી આ યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. સગાના કહેવા મુજબ, છૂટક મજૂરી કરતાં આ યુવકનું ગુપ્તાંગ ગઈકાલે વહેલી સવારે લીલા નારિયેળના ત્રોફામાં ફસાઈ ગયું હતુ. જેમાંથી બહાર કાઢવાના ચક્કરમાં ચામડી ખેંચાઈને લોહીલુહાણ થઈ જતા અસહ્ય પીડાથી યુવકે બૂમાબૂમ કરી મૂકી હતી.

યુવકની બૂમો સાંભળીને જાગી ગયેલા પરિવારજનો તેને ગોંડલ અને ત્યાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે યુવકને અમદાવાદ ખસેડાયો હતો.

અમદાાદ તબીબોએ સફળ ઓપરેશન કર્યા બાદ યુવકને રજા આપવામાં આવતા તે પરિવારજનો સાથે ગોંડલ આવી ગયો હતો. જયાં આ ઘટનાથી પોતે બદનામ થઇ ગયો હોવાના કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘરની બહાર પણ નીકળતો ન હતો અને તેમણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ ઘટના બાદ બનાવ છૂપાવા માટે ઘરે પરિવારજનોની જાણ બહાર બનેવી ભાવેશે મોડી રાત્રી સાળાની લાશને ઘર નજીક ખાડો કરી દાટી લીધી હતી અને બીજા દિવસે બહેન શિલ્પાએ ભાઇની શોધખોળ કર્યા બાદ ધમપછાડા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.

પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી શંકાના ઘેરામાં આવેલા બનેવી ભાવેશની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સાળાના મૃતદેહને ઘર નજીક ખાડો કરી દાટી દીધી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે મૃતદેહને બહાર કઢાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.