Rajkot: રાજકોટ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી કૈલાશ નગર સોસાયટીમા રહેતી કોલેજિયન યુવતીએ પાલતુ શ્વાને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસનાં સ્ટાફે જરુરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગાંધીગ્રામનાં કૈલાશ નગર શેરી નં 2માં રહેતી જીલ જયંતભાઇ રાજપરા (સોની ) (21) નામની યુવતી એ ગઇકાલે પોતાનાં ઘરે પાલતુ શ્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ લેતા તેમને તુરંત સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરી હતી .
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જીલ બે બહેનોમાં મોટી હતી અને BSC સુધીનો અભ્યાસ કરી ચૂકી હતી. અગાઉ બે વખત જીલે ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ગઈકાલે માતા-પિતા અને બહેન ત્રણેય પ્રસંગમાં ગયા હતા, ત્યારે જીલ ઘરમાં એકલી હોવાથી અંતિમ પગલું ભર્યું હતુ. જ્યારે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે દીકરીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોતા બૂમાબૂમ કરવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીએ ડીપ્રેશનના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
