Rajkot Janmashtami Farsan Rates: જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી તાજેતરમાં જ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન તહેવાર નિમિત્તે તેલનાં પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા નીચા ભાવે ફરસાણ તથા મીઠાઈનું વેચાણ કરવા વેપારીઓએ સર્વ સમંતિ આપી હતી.
આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને અધ્યક્ષસ્થાનેથી વેપારીઓને દુકાનો પર સ્વચ્છતા જાળવવા, દાજીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનિકારક રંગીન દ્રવ્ય વાપરવામાં ન આવે, જનતાને ગુણવતાયુક્ત ફરસાણ અને મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા અંગે વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બુંદી લાડુ, લાસા લાડુ તથા મીઠી બુંદીનો પ્રવર્તમાન ભાવ રૂ. 320 છે, જે તહેવાર દરમિયાન 280 રૂપિયાનાં કિલો લેખે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે મોહનથાળ અને મૈસુબ ટોપરાના લોટનો રૂ.320 તથા ચણાના લોટનો રૂ.280માં રાહતદરે વેચાણ કરાશે.
