Gondal accident news: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા શેમળા ગામે આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી દુર્ઘટના સર્જાઈ છે. ગામના તળાવ કાંઠે રમી રહેલા ચાર માસૂમ બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેમાં ત્રણ બાળકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનનાર આ તમામ બાળકો મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના છે.
રમતા-રમતા તળાવમાં પડ્યા ચાર બાળકો
પ્રાપ્ત માહિતી અનુસાર, શેમળા ગામના તળાવ કાંઠે બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક ચાર જેટલા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ નીરુભા જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સરપંચ અને સ્થાનિકોની ભારે જહેમત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક જ પરિવારના ત્રણ બાળકોના મોત
ગોંડલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ તપાસ કરીને ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સાહિલ નામના અન્ય એક બાળકને બચાવી લેવાયો છે, જેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક ત્રણેય માસૂમો સંબંધમાં મામા-ફોઈના ભાઈ-બહેન હોવાનું સામે આવ્યું છે.
મૃતક બાળકોના નામ:
- અર્જુન બાબરિયા (ઉંમર 6 વર્ષ)
- લખન ડામોર (ઉંમર 6 વર્ષ)
- લક્ષ્મી ડામોર (ઉંમર 3 વર્ષ)
શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું
રોજીરોટી કમાવવા માટે પોતાના વતન મધ્યપ્રદેશથી દૂર ગોંડલ આવેલા આ ગરીબ શ્રમિક પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. એક સાથે પરિવારના ત્રણ-ત્રણ માસૂમ બાળકોની ચિરવિદાય થતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.
હાલ ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક સાથે ત્રણ બાળકોની અર્થી ઉઠતા સમગ્ર ગોંડલ પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ દરમિયાન સ્થાનિક આગેવાન જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
