Rajkot: શહેરના ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે બાઇક સ્લીપ થતા ત્રંબાના ઇમિટેશનના ધંધાર્થીને ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનામાં ઘવાયેલા ઇમિટેશનના ધંધાર્થીનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ત્રંબા ગામે રહેતા કિશોરભાઇ ધીરૂભાઇ મોરવાડીયા નામના કોળી યુવાન ગઇ તા. 12 ના રોજ સાંજના સમયે પોતાનુ બાઇક લઇ રાજકોટ શહેરમાં ઇમિટેશનનો માલ લેવા આવતો હતો.
આ પણ વાંચો
આ સમયે ભાવનગર રોડ પર વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે પહોંચતા તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતુ. જેના કારણે કિશોરભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેમનુ ટૂંકી સારવાર બાદ મોત નિપજયુ હતુ.
કિશોર પોતાના ઘરે જ ઇમિટેશનનું કામ કરતો હતો તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમજ પોતે 3 ભાઇ 3 બહેનમાં બીજા નંબરના હોવાનુ જાણવા મળ્યુ હતુ. કિશોરભાઇના મૃત્યુથી તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમજ પતિના મૃત્યુથી પત્ની પણ આઘાતમાં સરી પડી હતી. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતા.
