Rajkot: ભાવનગર રોડ પર વિઠ્ઠલવાવ નજીક બાઈક સ્લીપ થતાં ઈમિટેશનના ધંધાર્થીનું મોત

ઈમિટેશનનો માલ લેવા રાજકોટમાં આવતો હતો, ત્યારે જ કાળ આંબી ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 Nov 2024 05:04 PM (IST)Updated: Sat, 16 Nov 2024 05:04 PM (IST)
rajkot-news-man-died-due-to-bike-accident-on-bhavnagar-road
HIGHLIGHTS
  • પત્ની આઘાતમાં સરી પડી, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Rajkot: શહેરના ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે બાઇક સ્લીપ થતા ત્રંબાના ઇમિટેશનના ધંધાર્થીને ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનામાં ઘવાયેલા ઇમિટેશનના ધંધાર્થીનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ત્રંબા ગામે રહેતા કિશોરભાઇ ધીરૂભાઇ મોરવાડીયા નામના કોળી યુવાન ગઇ તા. 12 ના રોજ સાંજના સમયે પોતાનુ બાઇક લઇ રાજકોટ શહેરમાં ઇમિટેશનનો માલ લેવા આવતો હતો.

આ સમયે ભાવનગર રોડ પર વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે પહોંચતા તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતુ. જેના કારણે કિશોરભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેમનુ ટૂંકી સારવાર બાદ મોત નિપજયુ હતુ.

કિશોર પોતાના ઘરે જ ઇમિટેશનનું કામ કરતો હતો તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમજ પોતે 3 ભાઇ 3 બહેનમાં બીજા નંબરના હોવાનુ જાણવા મળ્યુ હતુ. કિશોરભાઇના મૃત્યુથી તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમજ પતિના મૃત્યુથી પત્ની પણ આઘાતમાં સરી પડી હતી. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતા.