Patan: પાટણમાં ગણપતિ વિસર્જન વખતે સર્જાઈ કરુણાંતિકા: સરસ્વતી નદીમાં એક જ પરિવારના 7 સભ્યો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Sep 2024 09:16 PM (IST)Updated: Wed, 11 Sep 2024 09:16 PM (IST)
patan-news-7-drown-in-saraswati-river-during

Patan: અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવનો પર્વ ઉજવાઈ રહ્યો છે. જો કે દર વર્ષે ગણપતિ વિસર્જન વખતે અનેક લોકો ડૂબી જવાથી મોતને ભેટતા હોય છ. આ મામલે ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. એવામાં પાટણ જિલ્લામાં ગણપતિ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા હતા. જે પૈકી 3ને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવકની લાશ મળી છે. આ સિવાય અન્ય 3ની શોધખોળ ચાલુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીએ ગયા હતા. જ્યાં એક જણ ડૂબતા તેને બચાવવા જતાં એક પછી એક એમ 7 લોકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ સમયે કાંઠા પર ઉપસ્થિત સ્થાનિક લોકોએ સાડીની મદદથી ત્રણ લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય 4 સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં કૂદીને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવકની લાશ હાથમાં આવી હતી.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ નદીમાં અન્ય 3 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જો કે અંધારુ થઈ ગયું હોવાથી મુશ્કેલી થઈ રહી છે. આ સિવાય 8 જેટલી 108 એમ્બ્યુલન્સને પણ નદીના કાંઠે તહેનાત કરી દેવામાં આવી છે.