Palanpur News: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું આજે દિયોદરના ઓગડધામ ખાતેથી 16 મુદ્દાનું બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણનું વાચન કર્યું હતું. આ ઉપરાંત આવતા વર્ષે 4 જાન્યુઆરીના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ પણ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું.
સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું
સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણ વાંચતા જણાવ્યું હતું કે, સગાઇમાં પુરુષ અને મહિલાઓ 21 વ્યક્તિઓથી વધુ વ્યક્તિ જઇ શકશે. સગાને જ લઇ જવા કોઇને આમંત્રણ આપવું નહીં. ઓઢમણામાં કપડા કે દાગીના લઇ જવા નહીં. રોકડમાં ઓઢમણું લઇ જવાશે. સાડી, નાળિયેર અને રુપિયો સગાઇમાં લઇ જવાની રહેશે. વૈષાખ મહિનામાં અજવાળિયાના 15 દિવસ અન મહા મહિનામાં અજવાળિયાના 15 દિવસમાં લગ્ન કરવાના રહેશે. લગ્ન પ્રથા બંધ રહેશે. સામસામે ચર્ચા કરવાની રહેશે. પત્રિકા છપાવવી નહીં. સાદુ કાર્ડ રાખવું. ડિજીટલ આમંત્રણ આપવું.
1) સગાઈ પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- સગાઈમાં પુરુષ અને મહિલા મળી ૨૧ વ્યક્તિએ જવું. તેનાથી વધારે વ્યકિતઓ સગાઈમાં જઈ શકશે નહીં.
- સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહી. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં.
- સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે.
- સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે. એક જોડી કપડાં લઈ જવા.
- જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા જવાની) પ્રથાને બંધ કરવી.
2) લગ્ન પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
- સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે.
- લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી. સાદુ કાર્ડ રાખવુ હોય તો રાખી શકાય.
- મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે.
- ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી.
- સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી. નારાજગી રાખવી નહી.
3) જાન લઈ જવાના પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- સનરોફ ગાડી લાવવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
- જાનમાં 11 (આગિયાર) થી વધારે વાહનો લઈ જવા નહીં.
- જાનમાં ગાડીઓની લાઈન લગાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે.
- જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ 100થી વધુ વ્યકિતની સંખ્યાથી વધારે વ્યકિત બિલકુલ લઈ જવી નહીં.
- વ્યકિતીની સંખ્યામાં 10 વર્ષથી ઉપરનો બાળક વ્યક્તિ ગણાશે.
- જાનનો વરઘોડો -મામેરું કે જાનમાં ડીજે લઈ જવુ નહી.
4) સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ) અંગે ઠાકોર સમાજનું બંધારણ
- બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈપણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી.
- લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો આથી બંધ કરવામાં આવે છે.
- જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે.
- જાનમાં શરણાઈ વગાડી શકાશે.
5) જમણવારનો પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી રાખવાની રહેશે. આનાથી વધારે અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહીં.
6) મામેરાનો પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100ની સંખ્યા લઈ જવાની રહેશે.
- મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે.
- મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે.
- મામેરામાં ઓછામાં ઓછા 11 (અગિયાર હજાર) અને વધુમાં વધુ 1,51,000/- (એક લાખ એકાવન હજાર) રોકડમાં માંડવે મામેરુ ભરવાનુ રહેશે.
- મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં.
7) આંણાનો પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- કન્યાને તેડવા જવાનો-આંણુ મુકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે.
- કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે.
8) પૂરગત મુકવાનો પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- પૂરગતમાં વાટલું, કળસિયો, બેડુ અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે.
- ભેટ (ગીફ્ટ) પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.

9) બોલામણા પ્રથા અંગે ઠાકોર સમાજનું બંધારણ
- બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે.
10) જન્મદિવસ પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- જન્મ દિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ કરવામાં આવે છે.
- જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાયબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે.
11) મૈત્રી કરાર અંગે ઠાકોર સમાજનું બંધારણ
- મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ-લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવુ નહી.

12) નશાકારક વસ્તુઓ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- સમાજના કોઈપણ સારા- ખોટા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી- અફીણ- ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી.
13) મરણ પ્રસંગ અંગે ઠાકોર સમાજનું બંધારણ
- મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય
- અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં.
- બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણવો.
14) લગનની તારીખો નક્કી કરવા બાબત અંગે ઠાકોર સમાજનું બંધારણ
- વર્ષમાં બે માસ સમાજને લગ્ન માટે નક્કી કરવામાં આવે છે. તે મુજબ મહા
- વૈશાખ સુદ 1 (એકમ) થી 15 (પૂનમ) સુધી.
- મહા સુદ 1 (એકમ) થી 15 (પૂનમ) સુધી.
- ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે. અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં.
15) શૈક્ષણિક સંસ્થામાં ફાળા અંગે ઠાકોર સમાજનું બંધારણ
- લગ્ન- જન્મ- મરણ- પુણ્યતિથિ- સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઈબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછો રૂપિયા ૫૦૦ (પાંચસો) અને અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે.
16) અન્ય બાબતોના મુદ્દા અંગે ઠાકોર સમાજનું બંધારણ
- દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતી ફરજીયાત બનાવવી. જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય.
- દરેક ગામમાં કુંટ (કુટુંબ) વાઇઝ વ્યકતીઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતી બનાવવી.
16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્યા કરવામાં આવી
ઓગડધામ ખાતે યોજાઇ રહેલા આ સંમલેનમાં ભાગ લેવા માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બંધારણ થકી સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને નાબૂદ કરવા અને સામાજિક સુધારણાના પંથે આગળ વધવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સંમેલન દરમિયાન કુલ 16 જેટલા વિવિધ મુદ્દાઓમાં શિક્ષણ, આરોગ્ય, આર્થિક સશક્તિકરણ, અને સામાજિક રીતિ-રિવાજોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ વિષયો શામેલ છે. આ ઐતિહાસિક દસ્તાવેજના નિર્માણ માટે છેલ્લા પંદર દિવસથી સઘન તૈયારીઓ ચાલી રહી હતી.
સૂચિત બંધારણનો મુસદ્દો તૈયાર કરાયો
આ ચાર જિલ્લાના 27 જેટલા તાલુકાઓના પ્રતિનિધિઓ, અનુભવી સામાજિક કાર્યકરો અને ધાર્મિક અગ્રણીઓએ એકસાથે મળીને આ સૂચિત બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ લાંબી વિચાર-વિમર્શ પ્રક્રિયાનો હેતુ એ છે કે તૈયાર થનાર બંધારણ સમાજના દરેક સ્તર અને વર્ગને આવરી લે તેવું સર્વસમાવેશક બને.આ મહાસંમેલન ઠાકોર સમાજના સામાજિક ઉત્થાન અને સંગઠનની દિશામાં એક નવો અધ્યાય શરૂ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સમુદાયના આગેવાનો અને સભ્યો ઉત્સાહભેર આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા ઉમટી પડ્યા છે.
