Navsari: નવસારી જિલ્લાના જલાલપોરમાં રહેતી એક પરિણીતાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતકને લગ્નબાહ્ય સબંધ અંગે પસ્તાવો થતાં તેણે પોતાના પતિને મોબાઈલમાં મેસેજ મોકલીને અંતિમ પગલું ભર્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવસારી જિલ્લાના જલાલપોરમાં આવેલી ગૌરીશંકર સોસાયટીમાં રહેતી નિરાલી (33) નામની યુવતી ગત 10 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી નીકળી હાંસાપોરના ગાંધી રેલવે ફાટક નજીક પહોંચી હતી. જ્યા પોતાના પતિ મનિષના મોબાઈલ પર એક મેસેજ મોકલ્યા બાદ પસાર થતી ટ્રેન સામે પડતું મૂક્યું હતુ. આ બાબતની જાણ થતાં નવસારી રેલવે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો
પ્રાથમિક તપાસમાં નિરાલી તેના જ મહોલ્લામાં રહેતા નિલેશ બારોટ નામના પરિણીત પુરુષના પ્રેમમાં હતી. બન્ને વચ્ચે છેલ્લા ચારેક વર્ષથી અનૈતિક સબંધો ચાલતા હતા. જ્યારે નિરાલીએ અંતિમ પગલું ભર્યું, તે દિવસે સવારે પતિ મનિષે પત્નીને અનૈતિક સબંધ તોડી નાંખવા સમજાવી હતી. આથી પસ્તાવો થતાં બપોરે નિરાલીએ ઘરેથી નીકળી અને અંતિમ પગલું ભર્યું હતુ.
નિરાલીએ પોતાના પતિને મોકલેલા મોબાઈલ મેસેજમાં લખ્યું હતું કે,
મનિષ…હું બધાથી થાકી ગઈ હોવાથી જીવવા નથી માંગતી. મારા મરવા પાછળનું કારણ હું પોતે જ છું, બીજું કોઈ નથી. હું જે કરી રહી છું, તે મારી મરજીથી કરી રહી છું. મેં હંમેશા તમને દુ:ખ આપ્યું છે, મને માફ કરજો…
