Mahisagar: લુણાવાડામાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી ડાંગરનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ ડ્રોન સર્વેની માગ કરી

ઢોરને ખવડાવવા માટે પણ ડાંગરનું પરાળ કામમાં આવે તેમ નથી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Sep 2024 06:28 PM (IST)Updated: Wed, 25 Sep 2024 06:28 PM (IST)
mahisagar-news-dangar-crop-damage-due-to-heavy-rain-at-lunawada-village

Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન અને તૂટી પડેલા વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. હકીકતમાં પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે 300 એકરમાં વાવેલ ડાંગરના પાકનો સોંથ વળી ગયો છે. જેના કારણે ખેડૂતોની આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

લુણાવાડ તાલુકાના ખોડા આંબા ગામે 300 એકરમાં કરેલ ડાંગરનો પાક જમીનદોસ્ત થયો. તેમજ આજુબાજુના ખોડા આંબા, સાત તળાવ, જૂના મુવાડા, રામાંવંતા, મેડજીનાં મુવાડા, ઘંટાવ અને ભાયસર ગામની એમ કુલ થઈને 3000 હજાર હેકટર જમીનમાં કરેલી ડાંગરને નુકસાન સર્વે કરાવવા ખેડૂતોએ માંગ કરી છે. પાકીને તૈયાર થયેલ પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

મહીસાગર જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવે છે. જેમાં પણ એક ખેતર પાછળ આશરે 20 હજાર જેટલો કરેલો ખર્ચ કરવામાં આવે છે. હવે ડાંગરના નુકસાન થયેલ પાકનો નિકાલ કરવા માટે પણ ખર્ચો કરવો પડશે.

ડાંગરનું ધાન તો ઠીક પણ હવે તો ઢોરને ખવડાવવા ડાંગરનું પરાળ પણ કામ લાગે તેમ નથી. ડાંગરનો પાક આડો પડવાના કારણે પાકેલા દાણા અને ઘાસ પણ કામ લાગે તેમ નથી. જેથી ખેડૂતોએ ડ્રોન દ્વારા સર્વે કરી સહાય કરવા તેમજ પાક ધિરાણ માફ કરવા સરકાર પાસે માંગ કરી છે.