Junagadh News: ગિરનાર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જૂનાગઢમાં એક મોટી દુર્ઘટના ટળી છે. આત્મેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર અચાનક પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જવાથી બાળકો સહિત 40થી વધુ લોકો ફસાયા હતા.
ઇન્દ્રેશ્વર નજીક જંગલમાં આવેલા આ પવિત્ર મંદિરે દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ અચાનક આવેલા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા હતા. પાણીના ભારે પ્રવાહને કારણે તમામ લોકોનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
તંત્રની સમયસૂચકતાને કારણે ફસાયેલા તમામ બાળકો અને નાગરિકોને કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાન વિના હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી એક મોટો અનર્થ ટળ્યો હતો.
