Junagadh: જૂનાગઢમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે, યુવકે પોતાના લગ્નના 25 દિવસમાં જ અંતિમ પગલું ભર્યું છે. આટલું જ નહીં, આપઘાત કરતાં પહેલા યુવકે 5 મિનિટનો ભાવુંક વીડિયો બનાવવા સાથે સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે પોતાની પત્ની અને મામાજી પર સંગીન આક્ષેપો કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ શહેરમાં રહેતા પિયુષ ગોહિલ નામના યુવકના ગત 8 મેના રોજ ચાંદની નામની યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા દિવસોમાં પત્ની પોતાના પિયર જતી રહી હતી અને પાછી આવવા તૈયાર નહતી. આટલું જ નહીં, તે પતિને પણ પોતાના ઘરમાં ઘરજમાઈ તરીકે રહેવા માટે સતત દબાણ કરતી હતી. જેના કારણે હતાશ પિયુષે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
પિયુષે અંતિમ પગલું ભરતા પહેલા રડતા-રડતાં એક ભાવુંક વીડિયો પણ બનાવ્યો છે. બીજા યુવકો સાથે આવી ઘટના ના ઘટે, તે માટે પોતાનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા કહ્યું છે.
પોતાના વીડિયોમાં પિયુષ ધ્રુસકે-ધ્રુસકે રડતાં-રડતાં કહી રહ્યું છે કે, મારા અંતિમ પગલા ભરવા માટે જો કોઈ જવાબદાર હોય, તો તે છે મારી પત્ની અને તેનો મામો. મારી પત્ની તેના મામાનું કહ્યું કરે છે. જેના કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે.
લગ્નના થોડા દિવસોમાં જ પત્ની મને તેના પિયરમાં રહેવા માટે મજબૂર કરવા લાગી હતી. તે કહેતી કે, તમારા ઘરે તમારી માતા અને બહેન સાથે મને નથી ફાવતું. અમે સમાધાન કરવા ગયા, ત્યારે પણ તેના મામા વિજય સોલંકીએ પત્નીને મોકલવાની ના પાડી દીધી. આથી આ બન્નેના કારણે હું આત્મહત્યા કરું છું. મારા ગયા પછી મામાજીને કડકમાં કડક સજા થાય અને મારી પત્નીને પણ જેલમાં મોકલવી જોઈએ.
