Junagadh: દિવાળીના તહેવારનું મિની વેકેશન પૂર્ણ થતાં સોમવારથી સૌ કોઈ પરત કામે વળગશે, ત્યારે વેકેશન દરમિયાન માઉન્ટ આબુ કે મનાલીની મુલાકાત ન લઈ શકનાર પ્રવાસીઓ માટે જૂનાગઢનો ગિરનાર પર્વત એક ઉત્તમ વિકલ્પ બનીને સામે આવ્યો છે. અહીં ગિરનાર સાથે વાતો કરતા વાદળો અને સુસવાટા મારતા ઠંડા પવનો પ્રવાસીઓની બધી જ કસર પૂરી કરી કોઈ સ્વર્ગમાં વિહરતા હોય તેવો અહેસાસ કરાવે છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગિરનાર પર્વત પર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ભારે પવન અને વરસાદી માહોલના કારણે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના મીની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રોપ-વે મારફત ગિરનાર પર્વત પર આવતા હોય છે, ત્યારે આજે પણ પ્રવાસીઓએ મસ્ત મજાના વાતાવરણની ખૂબ મજા માણી હતી.
ગિરનાર પર્વત પર ખરાબ વાતાવરણ અને પવનની ભારે ગતિને ધ્યાનમાં રાખીને રોપ-વે સંચાલક દ્વારા યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે. પોર્ટલ ઑફિસ તરફથી મળેલી માહિતી મુજબ, પવનની ગતિ ધીમી અને વાતાવરણ સ્વચ્છ થયા બાદ જ રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.
આજે ગિરનાર પરથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારના માતાજીના ગોખ ઉપરથી લેવાયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વાતાવરણ એકદમ ઠંડું બની ગયું છે. યાત્રિકોની પાંખી હાજરી વચ્ચે પણ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, જ્યાં જાણે વાદળો ગિરનાર પર્વત સાથે વાતો કરી રહ્યા હોય તેવા અદભુત નજારો કેમેરામાં પણ કેદ થયા હતા.
VIDEO: ગિરનાર પર નયનરમ્ય નજારો, વાદળોએ સર્જી અદ્દભૂત લીલા; સ્વર્ગમાં વિહરતા હોય તેવો અહેસાસ થશે pic.twitter.com/YJL5YArbgA
— Gujarati Jagran (@gujaratijagran) October 26, 2025
