Junagadh News: રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવા આયામો આપવા માટે 1209 કરોડના જુદા જુદા ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે 218 MOUs થયાં હતાં. રાજકોટ ખાતે પ્રાદેશિક વાઇબ્રન્ટ એટલે કે વીજીઆરસી યોજાઈ રહી છે તે પૂર્વે આજે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામ જૂનાગઢ જિલ્લામાં રોકાણના આયોમો સાથે ઉદ્યોગકારો અને યુવા સાહસીકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
આજે આ કાર્યક્રમમાં આરોગ્ય-હોસ્પિટલ, સંસ્કૃત ભાષા અને પરંપરા આધારિત શિક્ષણ સંસ્થાઓ, પ્રવાસન, રિસોર્ટ સહિતના ક્ષેત્રે મહત્વના એમઓયુ થયા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બન્યું છે, વાઇબ્રન્ટ ગુજરાતના સશક્ત પ્લેટફોર્મના વિસ્તારથી જિલ્લા કક્ષાએ પણ ઔદ્યોગિક વિકાસ માટે એમઓયુ થઈ રહ્યા છે.
આ સમિટ દ્વારા મુખ્યત્વે એગ્રો અને ફૂડ પ્રોસેસ અને ડેરી ક્ષેત્રમા અંદાજે રૂ. 281કરોડના 102 એમ.ઓ.યુ., એન્જીનીયરીંગ અને તકનીકી ક્ષેત્રે 144 કરોડ રૂ. 55 એમ.ઓ.યુ., મિનરલ અને માઇનીંગ ક્ષેત્રમા 403 કરોડના 41 એમ.ઓ.યુ અને ટૂરિઝમ ક્ષેત્રે 114 કરોડના એમ.ઓ.યુ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 175 કરોડના એમ.ઓ.યુ. થયા છે. જેથી જિલ્લામા આવનાર રોકાણથી મોટા પાયે રોજગારીનુ નિર્માણ થશે અને જિલ્લાને દેશ અને વૈશ્વિક બજારમા ઓળખ મળશે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારત દેશને 2047 સુધીમાં વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્રનો ખુબ મહત્વનો ફાળો રહેશે. આ ડિસ્ટ્રિક્ટ સમિટ અંતર્ગત આયોજિત એક્ઝિબિશન પણ વડાપ્રધાનની વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલની નેમને ચરિતાર્થ કરે છે. જૂનાગઢ જિલ્લાને કુદરતે બધું જ આપ્યું છે, અપાર પ્રાકૃતિક સૌંદર્ય, પર્વત, જંગલ, દરિયો, નદી જેવી કુદરતી સંપદાથી સમૃદ્ધ જૂનાગઢ તેના ઐતિહાસિક, સાંસ્કૃતિક, પૌરાણિક અને આધ્યાતિક વારસા માટે પણ જાણીતો છે, તેમણે કહ્યું કે, ગિરનાર રોપ વેથી પ્રવાસનને નવો વેગ મળ્યો છે, સાથે જ એશિયાટિક સિંહ પણ ગુજરાતને વિશ્વના નકશા પર અંકિત કરે છે.
સી- ફૂડ, સ્પાઈસીસ અને ફૂડ પ્રોસેસ સહિત મશીનરી સહિત ઘણી પ્રોડક્ટ આજે જૂનાગઢમાંથી વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ કરવામાં આવે છે, જિલ્લામાં મુખ્યત્વે પ્લાસ્ટિક પ્રોડક્ટ, એન્જિનિયરીંગ, સી ફૂડ અને એગ્રો અને ફૂડ પ્રોસેસ જેવા ક્લસ્ટર આજે ધમધમી રહ્યા છે, વંદે ભારત જેવી રેલ્વે સુવિધાઓ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણ અને નેશનલ હાઇવે, નાની મોટી ઔધોગિક વસાહતો, જીઆઈડીસી વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સવલતો પેદા થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેપાર ઉદ્યોગ ખાસ કરીને ખેતી આધારિત અને પ્રવાસન આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સફળ પ્રયાસો થયા છે.
પ્રભારી મંત્રીએ એમઓયુ કરનાર રોકાણકારો અને એક્ઝિબિશનમાં ભાગ લેનાર જુદા જુદા ઔદ્યોગિક એકમોના સંચાલકોને પણ વિશેષ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરી, ગુજરાતને દેશના અગ્રીમ રાજ્ય બનાવવા માટે જે કેડી કંડારી હતી, તે આજે રાજમાર્ગ બની ગયો છે, ગુજરાત પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કીલ્ડ મેનપાવર, સરકારનો સપોર્ટ વગેરે દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે એક સારું વાતાવરણ રહ્યું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લો ખેતી આધારિત છે સાથે જ પ્રવાસન માટે પણ જાણીતો છે, ત્યારે આ બંને ક્ષેત્રોમાં નવા આયામો ઉમેરાય તે માટે પણ અહીં એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વધુ વિકાસ પામે તે માટે જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમાં સફળતા પણ મળી રહી છે. એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના વિકાસથી ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે પણ એક મજબૂત વિકલ્પ મળશે. આપણા જિલ્લાની કેસર કેરી, રાવણા દેશભરમાં જાણીતા છે તેની સવિશેષ માંગ પણ રહે છે.
જિલ્લા કલેક્ટરએ પ્રવાસનની સાથે રિલિજિયસ ટુરીઝમ વિકસે તે માટે પણ એક નવા સેટઅપ સાથે રોકાણ કરવા આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે રામ મંદિર અયોધ્યાનું પણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેશોદ એરપોર્ટનું પણ મોટાપાયે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, તેના રનવે 1.5 કિમીથી વધારીને અંદાજે 2.5 કિલોમીટરનો કરવામાં આવશે. જેથી કાર્ગો ફેસીલીટી પણ વધશે, તેનો સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાને પણ ફાયદો થશે, ઉપરાંત પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. સી ફૂડના ઉદ્યોગને વેગ મળે તે માટે 22 હેક્ટર જમીન પણ ફાળવવામાં આવી છે. જેનાથી પણ મોટાભાઈ રોજગારીનું સર્જન થશે. તેમ પણ ઉમેર્યું હતું.
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનો જોબસિકર નહીં પણ જોબ ગિવર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, વડાપ્રધાનની દૂરંદેશીથી દેશમાં આજે ગુજરાત અગ્રીમ સ્થાને બિરાજે છે.
ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી સંજય પુરોહિતે જણાવ્યું હતું, ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ પરિણામલક્ષી રહ્યું છે, જિલ્લામાં આજે જિલ્લામાં એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં નવા યુનિટ શરૂ થયા છે, આ ક્ષેત્રમાં વધુ જે સંભાવનાઓ રહી છે તેને પણ વિસ્તારવામાં આવશે, તેમણે જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ટુરિઝમ ક્ષેત્રે રહેલી સંભાવનાઓની પણ છણાવટ કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે બાજપાઈ બેંકેબલ યોજના સહિતના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના પ્રભારી મંત્રી આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત પ્રોડક્ટસને ઉજાગર કરતા એક્ઝિબિશને ખુલ્લુ મૂકી તેની મુલાકાત કરી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ધૈર્ય જોશીએ શાબ્દિક સ્વાગત કરી મહાનુભાવોને આવકાર્યા હતા. ઉપરાંત આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટમાં સેમિનારના માધ્યમથી આધુનિક ઉદ્યોગસાહસિકના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે AI, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન વિષય વિષય પર ધર્મેન્દ્ર જોશી અને જતીન કટારીયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી પુનિતભાઈ શર્મા, ઔદ્યોગિક એસોસિયેશનના હોદ્દેદારો અમૃત દેસાઈ, પરેશ ચોવટીયા સહિતના મહાનુભાવો ઉપરાંત હોટલ એસોસિએશન, જેમ્સ એન્ડ જ્વેલરી એસો., જીઆઇડીસી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વ્યાપારી સંગઠનોના હોદ્દેદારો અને નવા વિચાર સાથે વ્યવસાય શરૂ કરવા માટે ઉત્સાહિત વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ગાયત્રીબેને કર્યું હતું.
