Rajkot bank employee kidnapping: તાજેતરમાં રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી તેમની પાસેથી બળજબરીથી નાણાં વસૂલવાના ગંભીર બનાવ બન્યો હતો. આ કેસમાં જામનગર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો?
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર ઘટના પાછળ રૂપિયા 27.20 લાખની લેવડદેવડનો વિવાદ જવાબદાર હતો, જેના કારણે આરોપીઓએ કાવતરું ઘડીને ફરિયાદીનું અપહરણ કર્યું હતું. આરોપીઓ બેંક કર્મચારી અને તેના પરિવારને જામનગરના એક બંગલામાં લઈ ગયા.
આ બંગલામાં બેંક કર્મચારી અને તેના પરિવારને ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. વધુમાં, આ બંગલામાં આરોપીઓએ બેંક કર્મચારી અને તેના પરિવારને ધમકીઓ આપી, મારકૂટ કરી અને બળજબરીપૂર્વક આશરે 9.75 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે.
પાંચ આરોપીઓની ધરપકડ
આ ચકચારભર્યા કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડા નામના શખ્સો સામેલ છે. વધુમાં, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનામાં અન્ય એક અજાણ્યો શખ્સ પણ સંડોવાયેલો છે, જેની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: જામનગર: પૂરપાટ કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત, દંપતિ ગંભીર ઈજાગ્રસ્ત, 5 વર્ષની માસૂમનું મોત
જામનગર પોલીસની કાર્યવાહી
આ ગંભીર મામલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
