Jamnagar Demolition News: લોકશાહીનો પર્વ એટલે કે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જામનગર મહાનગર પાલિકા તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યું છે. શહેરના ઇસ્કોન મંદિર સામેના મુખ્ય માર્ગ પર જામનગર મનપા દ્વારા સવારથી જ મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
1.20 લાખ ચોરસ ફૂટ જમીન ખુલ્લી થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત આશરે 1.20 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જમીન શહેરી ગરીબોના આવાસ યોજના માટે ફાળવવામાં આવી છે, જેના પર દબાણકારોએ કબજો જમાવ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીમાં કુલ 16 જેટલા ગેરકાયદેસર વ્યવસાયિક બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ અને મનપાની મોટી ફોજ મેદાને
આટલા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી માટે જામનગર મહાનગરપાલિકા તંત્રએ પોલીસ વિભાગને સાથે રાખીને પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી. આ ઓપરેશન દરમિયાન લાખો-કરોડોની કિંમતની સરકારી જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામોનો સોથ વાળી દેવામાં આવ્યો હતો.
- મશીનરી: ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અને કાટમાળ દૂર કરવા 8 JCB મશીન અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- કર્મચારીઓ: એસ્ટેટ શાખા, લાઈટ, ફાયર, સ્લમ અને સિક્યુરિટી વિભાગના આશરે ૫૦થી વધુ કર્મચારીઓનો કાફલો આ સ્થળ પર ત્રાટક્યો હતો.
- સુરક્ષા વ્યવસ્થા: કામગીરી દરમિયાન વીજ લાઈનને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની સાવચેતીના ભાગરૂપે PGVCL ટીમ પણ ઘટના સ્થળ પર સતત હાજર રહી હતી.
સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ચાલી રહેલી જામનગર મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીના પગલે શહેરના અન્ય દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શહેરી ગરીબો માટેની જમીન ખુલ્લી કરાવવાના આ પગલાંને લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યું છે.
