Pradhan Mantri Awas Yojana (Rural): ગ્રામીણ પરિવારોના વિકાસની સાથે સુખાકારી માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સંકલિત રીતે અનેક જનહિતલક્ષી યોજના અમલી બનાવીને જરૂરિયાતમંદ નાગરિકો માટે કાર્યરત છે. એ જ શ્રેણીમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ PMAY-G ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને રહેણાંક સુવિધાથી વંચિત પરિવારો માટે પોતાના આવાસનું એટલે કે ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે.
એક વર્ષમાં 93 હજાર PMAY આવાસ બન્યા
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2023થી 2025 સુધી 2.58 લાખથી વધુ આવાસ લાભાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષે 93 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, આ આવાસ થકી ગ્રામીણ પરિવારોના જીવનસ્તર, આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે.
લાભાર્થીને રૂ. 1.20 લાખની તબક્કાવાર સહાય
PMAY-G યોજનામાં કેન્દ્રનો 60 ટકા અને રાજ્ય સરકારનો 40 ટકા ફાળો હોય છે. જેમાં લાભાર્થીને આવાસ દીઠ રૂ. 1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી આવાસ બાંધકામના રૂફ કાસ્ટ તબક્કે વધારાના રૂ. 50 હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ લાભાર્થીને પોતાનું પાકું તથા સુવિધાસભર ઘર બાંધવામાં મદદરૂપ બને છે. આમ અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મુખ્યમંત્રીએ આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો, જાણો ટિકિટના દર અને વિવિધ થીમ વિશે
રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા પ્લોટ વિહોણા આશરે 3 હજાર જેટલા લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે દસ્તાવેજની રકમ અથવા રૂ. 1 લાખ સુધી, બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય ચૂકવવા 100 ટકા રાજ્ય ફાળા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે.
નર્મદામાં 61,125 લાભાર્થીનો ગૃહપ્રવેશ કરાવ્યો
PMAY-G યોજના અંતર્ગત તાજેતરમાં નર્મદા ખાતે ભગવાન બિરસા મૂંડાની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રૂ. 1008.19 કરોડના ખર્ચે કુલ 61,125 લાભાર્થીઓનો ઈ-ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ બની રહી છે, અને વિકસિત ભારત@2047માં મહત્વનું યોગદાન આપી રહી છે.
