Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જાહેર થયેલા પરિણામોએ રાજ્યમાં ફરી એકવાર ભાજપના અજેય કિલ્લાને મજબૂત કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે એક પત્રકાર પરિષદને સંબોધતા આ પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની લોકકલ્યાણકારી નીતિઓ પર જનતાની મહોર ગણાવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતની આંકડાકીય વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં ભાજપે 89.75 ટકા બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માત્ર ગણતરીની બેઠકો પર સમેટાઈ ગયા છે.
આ પણ વાંચો
આવી જ રીતે જિલ્લા પંચાયતોમાં 81.83 ટકા, નગરપાલિકાઓમાં 75.76 ટકા અને તાલુકા પંચાયતોમાં 70.19 ટકા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ સરેરાશમાં 74.96 ટકા બેઠકો પર ભાજપની જીત થઈ છે, જે દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી ભાજપનો વિશ્વાસ પહોંચ્યો છે.
મંત્રીએ જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર વિનમ્રતાપૂર્વક જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે. મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ લિટમસ ટેસ્ટમાં વિજય મેળવીને ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજયનો મજબૂત પાયો નાખી દીધો છે.
ભાજપના આ વિજયમાં રાજ્યની તમામ જ્ઞાતિ અને સમાજનો અતૂટ વિશ્વાસ છલકાયો છે. આ સંદર્ભે ઉદાહરણ આપતા મંત્રીએ ઉમેર્યું કે, ભાવનગર મહાનગરપાલિકામાં કોળી, ક્ષત્રિય, દલિત, પટેલ, બ્રહ્મ અને માલધારી સહિતના તમામ સમાજોએ ભાજપના ઉમેદવારોને જંગી મતે જીતાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે,
- ભાજપે કોળી સમાજમાંથી 16 ઉમેદવાર ઉતાર્યા, 15 ઉમેદવારો જ્વલંત વિજય પામ્યા (કોંગ્રેસના 17 માંથી 15 ની હાર થઈ)
- ભાજપે ક્ષત્રિય સમાજમાંથી 06 ઉમેદવાર ઉતાર્યા, 05 વિજેતા થયા (કોંગ્રેસના 06 માંથી 05 ની હાર થઈ)
- ભાજપે દલિત સમાજમાંથી 05 ઉમેદવાર ઉતાર્યા, 03 વિજેતા થયા (કોંગ્રેસ 05 માંથી 03 ની હાર થઈ)
- પટેલ સમાજ: ભાજપના તમામ 04 ઉમેદવાર વિજેતા, કોંગ્રેસ 0.
- બ્રહ્મ સમાજ: ભાજપના તમામ 04 ઉમેદવાર વિજેતા, કોંગ્રેસ 0.
- પાલીવાલ સમાજ: ભાજપના તમામ 02 ઉમેદવાર વિજેતા, કોંગ્રેસ 0.
- સિંધિ, માળી અને કારડીયા રાજપૂત સમાજ: આ ત્રણેય સમાજમાં ભાજપના 100 ટકા ઉમેદવારો વિજયી થયા, જ્યારે કોંગ્રેસના તમામ ઉમેદવારો હાર્યા.
- ભાજપના પ્રજાપતિ (કુંભાર) અને લુહાર સમાજના ઉમેદવારો પણ વિજેતા બન્યા છે.
- માલધારી સમાજમાં પણ ભાજપ અને કોંગ્રેસને સમાન 1-1 બેઠક મળી છે.
આ આંકડા સાબિત કરે છે કે, ભાજપ એ 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને વરેલી પાર્ટી છે, જ્યારે વિપક્ષ માત્ર જ્ઞાતિ-જાતિના નામે લડાવવાનું કામ કરે છે. આ જ સ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળી છે.
ચૂંટણી દરમિયાન વિપક્ષો દ્વારા કરવામાં આવેલા ભ્રામક પ્રચારો અને અભદ્ર ભાષાના પ્રયોગની મંત્રીએ કડક ટીકા કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ગુજરાતે પહેલીવાર જોયું કે વિપક્ષે અત્યંત હલકી કક્ષાની ભાષા અને અભદ્ર ટિપ્પણીઓનો સહારો લીધો, જે ગુજરાતના સંસ્કારો નથી.
કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ગુજરાતને બદનામ કરવાના કાવતરા રચ્યા, અનાજના ટ્રાન્સપોર્ટેશન અને ટીપી સ્કીમો બાબતે ભ્રામક જૂઠાણાં ફેલાવ્યા, તેને જનતાએ મતો દ્વારા સણસણતો જવાબ આપ્યો છે.
મંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષો 'મજબૂત વિકલ્પ' બનવાની અને 'વોટ શેર' વધારવાના બણગા ફૂંકીને પોતાની હાર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દરેક ચૂંટણી બાદ 'પન્નો ટૂંકો પડ્યો'ના બહાના કાઢતા વિપક્ષે સ્વીકારી લેવું જોઈએ કે, તેઓ ચૂંટણી જીતવા માટે નહીં પણ માત્ર અસ્તિત્વ ટકાવવા લડી રહ્યા છે. તેમણે વિપક્ષને પરાજય સ્વીકારવા અને નકારાત્મકતા છોડી જનતાના હિતમાં સકારાત્મક અને રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.
