Gandhinagar, Krishi Sahay Package: દિવાળી પછી ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પગલે પાક ધોવાઈ જતાં ખેડૂતો હાથે પગે થઈ ગયા હતા. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને ફરીથી બેઠા કરવાના ભાગ રૂપે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવીને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પેકેજમાં પણ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ જણાવ્યું છે.
પાલ આંબલિયાએ જણાવ્યું કે, સરકારે SDRFના ધોરણોમાં સુધારા કરીને 13,500ની જગ્યાએ 22 હજાર રૂપિયા હેક્ટર દીઠ આપવાનું કહી રહી છે. જો કે 2020માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારે બનાવેલા નિયમો મુજબ, 60 ટકાથી વધારે નુકસાન હોય તો હેક્ટર દીઠ 25 હજાર અને 4 હેક્ટરની મર્યાદામાં આપવા જોઈએ.
ગુજરાતના ખેડૂતોને 85 ટકા નુકસાન થયું હોવાનું ખુદ સરકાર પણ સ્વીકારે છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ 9ની પેટાકલમ ઘમાં સ્પષ્ટ લખ્યું છે કે, ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF બન્ને લાભ મળવા પાત્ર છે. જે અંતર્ગત ખેડૂતોને 1,44,000 મળવા જોઈએ, જેની જગ્યાએ માત્ર 44 હજાર રૂપિયા જઆપી રહી છે. જો સરકાર SDRF અને સરકારની સહાય 10 હજાર કરોડ રૂપિયા હોય, તો ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કેમ ના મળે?
બીજુ ખેડૂતો જ્યારે સહાય માટે ફોર્મ ભરવા જાય, ત્યારે મોટાભાગે સર્વર ઠપ્પ હોવાની ફરિયાદ ઉઠે છે. આટલું જ નહીં, જે ખેડૂતોની વારસા એન્ટ્રી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે, જેમાંથી પણ કોઈ એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળવાનો છે. આવી જ રીતે જો કોઈ ખેડૂતના એકથી વધુ ખાતા હોય તો તેમને માત્ર એક જ ખાતાનો લાભ મળશે. એટલે કે ખેડૂત જે મોટું ખાતું લખાવે તેનો જ લાભ મળે છે.
