Gandhinagar: 3 લાખ અરજીઓ બાદ સરકાર એક્શનમાં, જમીન માપણીની ભૂલો સુધારવા નવેસરથી રી-સર્વે થશે

ડ્રોન અને GIS મેપિંગથી જમીનની એક-એક ઈંચની થશે ચોક્કસ માપણી કરવામાં આવશે. 7-12 ના ઉતારામાં હવે વિસંગતતા નહીં રહે; 'ઈ-રેકોર્ડ' અપડેટ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 05:52 PM (IST)Updated: Wed, 08 Apr 2026 05:52 PM (IST)
gandhinagar-news-gujarat-government-to-re-survey-15-lakh-hectare-land-after-major-errors-found
HIGHLIGHTS
  • ગુજરાતમાં જમીન રેકોર્ડ સુધારવા મોટો નિર્ણય
  • અમદાવાદ જિલ્લામાંથી 5 હજારથી વધુ રિ-સર્વે માટેની અરજી મળી આવી

Gandhinagar: ગુજરાતના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ગુજરાત સરકાર દ્વારા આજથી 3-4 વર્ષ અગાઉ રૂ. 400 કરોડના ખર્ચે કરવામાં આવેલ 15 લાખ હેક્ટર જમીનની માપણીમાં અનેક ખામીઓ સામે આવી છે.

ખોટા નક્શા, નામોમાં ભૂલો તેમજ 7-12ના ઉતારામાં વિસંગતતાના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા અનેક ખેડૂતો દ્વારા રી-સર્વે માટે અરજી કરવામાં આવી છે. આ સમસ્યાના ઉકેલ માટે સમગ્ર રાજ્યમાંથી 3 લાખ અને એકલા અમદાવાદ જિલ્લામાંથી 5 હજારથી વધુ રી-સરવે માટેની અરજીઓ મળી છે. હવે 'ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ' દ્વારા નવેસરથી માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રી-સર્વેમાં કઈ ભૂલો સુધારવામાં આવશે

  • જૂના અને નવા નકશા વચ્ચેના તફાવતો દૂર કરવામાં આવશે.
  • જમીનનો જે વાસ્તવિક કબજો છે, તેને સરકારી રેકોર્ડ સાથે મેળવવામાં આવશે.
  • સીમા (હદ) બાબતના વિવાદોનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે.
  • જમીન માલિકીના હક્કો સ્પષ્ટ કરવા અને ડુપ્લિકેટ કે ઓવરલેપિંગ એન્ટ્રીઓ સુધારવામાં આવશે.
  • ફિલ્ડ વેરિફિકેશન (સ્થળ તપાસ)ની પ્રક્રિયા વધુ કડક બનાવવી.

રી-સરવે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ:

સરકાર આ વખતે માપણીમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવશે

  • ડ્રોન સર્વે: હાઈ-રિઝોલ્યુશન ઈમેજ દ્વારા જમીનની એક-એક ઈંચની ચોક્કસ માપણી.
  • GIS મેપિંગ: ડિજિટલ નકશાને સીધા સરકારી રેકોર્ડ સાથે જોડવામાં આવશે.
  • ટોટલ સ્ટેશન મશીન: જમીન પર સચોટ માપ લેવા માટે આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ.
  • ઓનલાઈન અપડેશન: માપણી પૂર્ણ થતાની સાથે જ ડેટા સીધો 'ઈ-રેકોર્ડ' માં અપડેટ થશે.
  • જીઓ-રેફરન્સ નકશા: જૂના નકશાઓને નવા ભૌગોલિક કોઓર્ડિનેટ્સ સાથે મેચ કરી સચોટતા ચકાસવામાં આવશે.

નવેસરથી માપણી કરવાથી કેવા ફાયદા થશે?

  • ચોકસાઈ અને વિશ્વસનીયતા: જમીનના દસ્તાવેજો વધુ સચોટ બનશે, જેથી છેતરપિંડીની શક્યતા ઘટશે.
  • વિવાદોમાં ઘટાડો: જમીન વેચાણ કે ખરીદી સમયે થતા ઝઘડાઓ અને કોર્ટ કેસોમાં મોટો ઘટાડો થશે.
  • સરળ પ્રક્રિયા: બેંક લોન મેળવવામાં અને બિન-ખેતી (NA) ની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.