Gujarat Rajyasabha Election 2026: ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યની ખાલી પડેલી 4 રાજ્યસભા બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉભા ના રાખતા આખરે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
હકીકતમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ભાજપના રામભાઈ મોકરિયા, નરહરિ અમીન, રમીલાબેન બારા તેમજ કોંગ્રેસના એકમાત્ર શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થતાં આગામી 18 જૂનના રોજ આ તમામ ખાલી પડેલી બેઠકો માટે સત્તાવાર ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 8 જૂન હતો, જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ આજ રોજ 11 જૂનનો નક્કી કરવામાં આવ્યો હતો.
જો કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પુરતુ સંખ્યાબળ ના હોવાના કારણે તેમને એકપણ ઉમેદવાર ઉભો નહતો રાખ્યો. અત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 162 ધારાસભ્યોનું ઐતિહાસિક સંખ્યાબળ છે.
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે આંકડાકીય ગણિત મુજબ, 37 ધારાસભ્યોના મતોની જરૂર પડે છે. બીજી બાજુ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો બચ્યા છે, જેથી સભ્ય સંખ્યાબળના અભાવે કોંગ્રેસ પહેલાથી જ ઉમેદવાર મેદાનમાં ઉતારવાના મૂડમાં નહતી. આ સ્થિતિમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા બનવાની પુરેપુરી શક્યતા હતી.
ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ પ્રતિનિધિત્વ નહીં કરતો હોય
રાજ્યસભાની સીટો માટે ભાજપ દ્વારા આ વખતે ચારેય નવા ચહેરાને તક આપવામાં આવી હતી. જેમાં રાજુ શુક્લ, જીતેન્દ્ર કણજારિયા, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના આ ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.
આટલું જ નહીં, રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ મહિલા પણ નહીં રહે, કારણ કે રમીલાબેન બારા ગુજરાતના રાજ્યસભાના આખરી મહિલા સાંસદ હતા, જેમની ટર્મ પુરી થઈ ગઈ છે.
