Gandhinagar: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પર કરોડો રૂપિયાની જમીન કૌભાંડનો આક્ષેપ કરનારા કોંગ્રેસ નેતાઓએ કોર્ટમાં માફી માંગી લીધી છે. જે બાદ વિજય રૂપાણીએ પણ કોંગી નેતાઓની બિનશરતી માફી સ્વીકારીને પોતે કરેલી બદનક્ષીની અરજી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.
હકીકતમાં કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય સી.જે. ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા સહિત 4 લોકોએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. વિજય રૂપાણી પર કરોડોના કૌભાંડનો આક્ષેપ કરનારા સી.જે. ચાવડા હવે ભાજપમાં છે.
આ અંગે વિગતો આપતા વિજય રૂપાણીના વકીલ અંશ ભારદ્વાજે જણાવ્યું કે, આજથી 2-3 વર્ષ અગાઉ કોંગ્રેસના કેટલાક નેતાઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમણે તેમણે વિજય રૂપાણી પર કરોડો રૂપિયાની જમીનના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જેથી માર્ચ 2022માં વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ બદનક્ષીનો દાવો ઠોકીને માફી માંગવાની માગ કરી હતી.
જો કે કોંગ્રેસ નેતાઓ દ્વારા માફી માંગવામાં નહતી આવી. જેથી વિજય રુપાણીની ફરિયાદના આધારે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ પક્ષોના નિવેદન લેવાયા બાદ કોંગ્રેસ નેતાઓને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતુ. જે બાદ કોંગ્રેસ નેતાઓએ લેખિતમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે, તેમણે વિજય રુપાણી પર કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા વિના આરોપ લગાવ્યા હતા.
