Nepal Protest: નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના 18 પ્રવાસીઓ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ફસાયેલા ગુજરાતીઓનું લિસ્ટ વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 10:39 PM (IST)Updated: Tue, 09 Sep 2025 10:39 PM (IST)
gandhinagar-news-18-gujarati-tourist-stuck-in-kathmandu-airport-amead-nepal-protest
HIGHLIGHTS
  • તમામ ગુજરાતીઓને તાત્કાલિક ભારત લાવવાની વ્યવસ્થા કરવાની માંગ
  • ગુજરાતીઓને પરત લાવવા મુખ્યમંત્રીએ સબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી

Nepal Protest | Gandhinagar: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને હિંસક પ્રદર્શનના કારણે સ્થિતિ વણસી છે. યુવાનોના ઉગ્ર પ્રદર્શનના કારણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું છે. કાઠમંડુમાં હિંસક પ્રદર્શન અને કરફ્યુ વચ્ચે 18 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાઈ ગયા છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કેન્દ્ર સરકારને તમામ ગુજરાતીઓ પ્રવાસીઓને હેમખેમ ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા આગ્રહ કર્યો છે.

કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, નેપાળનું કાઠમંડુ એરપોર્ટ બંધ છે. આપણાં ઘણાં ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે. અમેરિકા સહિત અન્ય દેશોના નાગરિકો પણ કાઠમંડુમાં ફસાયા હતા. જો કે તે દેશની એમ્બસીના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા અને પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા.

ભારત સરકાર આપણા દેશના નાગરિકો માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરી રહી? કાઠમંડુ એરપોર્ટ પર કોઈ સ્થાનિક અધિકારી કે પુરતી સુરક્ષા પણ નથી. મહિલાઓ અને બાળકો ભયભીત છે.

મને આશા છે કે, તમે આ બાબતને ગંભીરતાથી લેશો. આ સાથે જ કોંગ્રેસ સાંસદે વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરીને કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલા 18 ગુજરાતીઓના નામ સહિતની વિગતો આપી છે અને તેમને સુરક્ષિત ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પરત લાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હોવાનું જણાવ્યું છે.

મુખ્યમંત્રીએ લખ્યું છે કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટી તંત્ર દેશના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.

નેપાળ હિંસાને લઈને ભારત સરકારની એડવાઈઝરી જારી

વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યાં સુધી નેપાળની સ્થિતિ સમાન્ય ના થાય, ત્યાં સુધી ત્યાંનો પ્રવાસ કરવાનું ટાળો. જે ભારતીય નેપાળમાં છે, તેમને પણ રોડ પર ના નીકળવા અને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે કાઠમંડુ સ્થિત ઈન્ડિયન એમ્બેસીની સૂચનાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. કોઈ પણ મદદ માટે ઈન્ડિયન એમ્બેસીની હેલ્પલાઈન નંબર +977-9808602881 અને +977-9810326134 સંપર્ક કરી શકાય છે.