Kutch News: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું તરભ ધામ (વાળીનાથ મહાદેવધામ) લાખો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે. શ્રદ્ધાળુઓ અહીં આવીને તન, મન અને ધનથી સેવા કરે તે સમજી શકાય, પરંતુ જીવંત બાળકનું સમર્પણ એ માનવ તર્કથી પર અને અત્યંત આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે, ત્યારે કચ્છ જિલ્લાના કરોતરા પરિવારે પોતાના બાળકને વાળીનાથ મહાદેવને અર્પણ કરવાનો સંકલ્પ લીધો છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મોખાણા ગામના વતની અને વાળીનાથ મહાદેવ પ્રત્યે અપાર આસ્થા ધરાવતા વિશાભાઈ કરોતરાએ પોતાના પુત્ર શ્રીયાંશને ધર્મના માર્ગે સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત શ્રીયાંશની અર્પણ વિધિ આગામી 31 ઓગસ્ટના રોજ તરભ સ્થિત શિવધામ વાળીનાથ અખાડા ખાતે યોજાવાની છે. જેને લઈને સાધુ-સંતો ઉપરાંત શિવભક્તો તરફથી કરોતરા પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
અમદાવાદના દેસાઈ પરિવારે માનતા પુરી કરવા દોઢ મહિનાનો દીકરો અર્પણ કર્યો હતો
અગાઉ ફેબ્રુઆરી 2025માં પણ એક દીકરાને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં વડનગર તાલુકાના જાસ્કા ગામના વતની અને અમદાવાદમાં રહેતા કેતન દેસાઈને સંતાનમાં એક દીકરી હોવાથી તેમણે માનતા માની હતી કે, બે દીકરા આવશે તો એકને શિવધામમાં અર્પણ કરવામાં આવશે. કેતન દેસાઈની માનતા પૂર્ણ થતાં તેઓ મહાશિવરાત્રીના પર્વે વિસનગર આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના એક દોઢ માસના દીકરાને શિવધામને અર્પણ કર્યો હતો.
જણાવી દઈએ કે, વાળીનાથ ધામમાં અર્પણ થતાં બાળકો મંદિરના ગુરુકુળમાં જ અભ્યાસ કરવાની સાથે-સાથે ધાર્મિક પ્રવૃતિ કરે છે. ધોરણ 12 સુધી અભ્યાસ બાદ તેઓને વેદો અને સંસ્કૃતના ગન અભ્યાસ માટે કાશી કે ઋષિકેશ મોકલવામાં આવે છે. જ્યાંથી પરત ફરીને તેઓ પ્રચારક બનીને સેવા આપે છે.
