Bagdana sarpanch attacked: તાજેતરમાં બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલા મુદ્દે હવે કોળી સમાજ મેદાને આવ્યો છે. બગદાણાના સરપંચ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે મહુવા તાલુકા સેવા સદન ખાતે ક્ષણિક વાર કોળી સમાજે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત સામાજિક આગેવાન રાજુ સોલંકી પણ હોસ્પિટલમાં નવનીતભાઈની મુલકાતે પહોંચ્યા હતા.
નવનીતભાઈના સમર્થનમાં આવ્યો કોળી સમાજ
તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણા આશ્રમના ટ્રસ્ટી અંગે કરેલી વાતનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈએ આ મુદ્દે માયાભાઈની ભૂલ કાઢી હતી. જેના થોડા સમય બાદ જ નવનીતભાઈ પર હુમલો થયો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈના ખબરઅંતર પૂછવા સામાજિક આગેવાને રાજુ સોલંકી પહોંચ્યા હતા.
મહુવા સેવાસદન ખાતે ધરણા કરી આવેદનપત્ર પાઠવ્યું
બીજી તરફ આ મુદ્દે મહુવા તાલુકા સેવા સદન ખાતે ક્ષણિક વાર કોળી સમાજે વિરોધ નોંધાવ્યો હતો. સમાજના આગેવાનો સેવા સદન ખાતે ધરણા પર બેસી ગયા હતા, અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ દરમિયાન કોળી સમાજના આગેવાનોની પોલીસ સાથે રકઝક થઈ હોવાની માહિતી પણ સામે આવી છે.
શું હતી ઘટના, અને તેની પાછળના કથિત કારણ?
ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં આયોજીત એક કાર્યક્રમ યોજાયો દરમિયાન માયાભાઈએ જાહેરાત કરતા યોગેશભાઈ સાગર માટે 'મેનેજિંગ ટ્રસ્ટી' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે."
આ વાતચીત બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને એક માફી માંગતો વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ નવીનભાઈ હુમલો થયો હતો. જેથી સોશિયલ મીડિયામાં હુમલો કોણે કરાવ્યો તેની વિવિધ થિયેરી વહેતી થઈ હતી.
