Bagdana Controversy: બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે આજે સમાજના અગ્રણીઓ દ્વારા એક વિસ્તૃત આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતુ.
FIRમાં મુખ્ય સુત્રધારનું નામ જ નહીં
પોતાના આવેદનમાં આગેવાનોએ રજૂઆત કરી છે કે, આ કેસમાં હજુ સુધી કેટલાક આરોપીઓના નામ ફરિયાદમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આથી પોલીસ ફરિયાદમાં મુખ્ય સુત્રધારનું નામ તાત્કાલિક ધોરણે ઉમેદવારમાં આવે. આ સાથે જ મુખ્ય સુત્રધારની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
માંગ નહીં સ્વીકારવામાં આવે તો પૂતળા દહન અને રાજીનામાની ચીમકી
તાલુકા પંચાયત સરપંચ પરિષદના નેજા હેઠળ 50 થી 60 સરપંચો મહુવા મામલતદારને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. આ તકે પરિષદના પ્રમુખ વિજય વાળાએ જણાવ્યું કે, નવનીતભાઈ પર હુમલો થયાને 18 દિવસ વીત્યા છતાં ન્યાય માટે અમારે આંદોલન કરવું પડે છે, જે શરમજનક બાબત કહેવાય. જો આવું જ રહેશે તો, કોઈને ન્યાય તંત્ર પર ભરોસો નહીં રહે.
જો 3 દિવસમાં મુખ્ય આરોપીઓના નામ FIRમાં દાખલ નહીં કરવામાં આવે તો સરકારના પૂતળા બાળવામાં આવશે. આ સાથે જ વધુ જલદ આંદોલન કરવામાં આવશે. જેમાં કોળી સમાજ દ્વારા નિર્ણય કરે તો પછી જિલ્લા પંચાયત, તાલુક પંચાયત, નગર પાલિકા, સરપંચ અને કાર્યકરો સહિત જે ભાજપમાં જોડાયા છે, તે તમામ લોકો એક સાથે સામુહિક રાજીનામાં આપશે.
અન્ય એક કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, 3 દિવસમાં નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. જેમાં જે સાચા ગુનેગારો છે તેમને પકડવા જોઈએ. પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતનો કોળી સમાજ જાગી ગયો છે. આગામી દિવસોમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે.
ગુજરાત સરકારમાં કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 મંત્રીઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો, તો આપણે વિચારવાની જરૂર છે.
