Ahmedabad: શહેરની સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વિરમગામમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા કેદીએ આજે સવારે બાથરૂમમાં જઈને ફાંસો ખાઈ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ પંજાબનો વતની નિશાનસિંહ લોહાર (31) ગત 8 જાન્યુઆરીએ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો હતો. જે બાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં નિશાનસિંહ શાંતિનિકેત યાર્ડના બેરેક નંબર 4ના બાથરૂમમાં ગયો હતો. જ્યાં તેણે પોતાની પાઘડીના કપડા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
નિશાનસિંહે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલ તો રાણીપ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
