Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં પતિએ ચારિત્ર્યની શંકા રાખીને પત્નીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા સાગર સરવૈયા નામનો યુવક તેની પત્ની દિશા સરવૈયાના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો. આજે સાગરે કોઈ કામ બાબતે પત્ની દિશાને ફોન કર્યો હતો. જો કે આ સમયે પત્ની દિશાનો ફોન સતત વ્યસ્ત આવતો હોવાથી સાગરને તેના ચારિત્ર્ય પર શંકા વધુ ગાઢ બની હતી.
આ શંકાના વહેમમાં તેણે પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા સાગરે આવેશમાં આવીને ઘરમાં પડેલી છરી વડે પત્ની પર તૂટી પડ્યો હતો. સાગરે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા દિશા લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ફસડાઈ ગઈ હતી અને ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો.
બીજી તરફ આ બાબતે પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકના PI બી.એમ. કરમટા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયો હતો. તેમણે દિશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
