Bharuch Rain News: ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી ચાલુ ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા નદીના પાણીનું સ્તર ચેતવણી સપાટીને વટાવીને ખતરનાક સપાટી પર પહોંચી ગયું છે. આજે બપોરે પાણીનું સ્તર 27.50 ફૂટથી ઉપર નોંધાયું, જેના કારણે ભયજનક સ્થિતિ ઉભી થઈ છે.

આકાશમાંથી લેવામાં આવેલા દૃશ્યોમાં નર્મદા નદીનો પ્રચંડ પ્રવાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગોલ્ડન બ્રિજની આસપાસ પાણીની ગતિ અને નદીની પહોળાઈ વધતા લોકોમાં ચિંતાનો માહોલ છે. પાણીની વધતી સપાટીને કારણે તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તાત્કાલિક સ્થિતિમાં રાહત અને બચાવની વ્યવસ્થા માટે ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
નર્મદા નદીના આ આકાશી દૃશ્યો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકોએ આ દૃશ્યોને નયનરમ્ય કહીને શેર કર્યા છે, પરંતુ હકીકતમાં નદીના ખતરનાક પ્રવાહને લીધે તંત્ર સતત લોકોને ચેતવણી આપી રહ્યું છે કે નદીકાંઠે ન જવું.
સતત વરસાદને કારણે ઉપરવાસમાંથી પણ મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો વરસાદનો જોર આવનારા કલાકોમાં યથાવત રહેશે તો નદીના પાણીના સ્તરમાં વધુ વધારો થઈ શકે છે. હાલ તંત્ર દ્વારા સંભાવિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.