Bharuch: દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વતન જતા લોકો માટે મુસાફરી મુશ્કેલ બની રહી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે, જેના કારણે સૂરત તરફ જતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા રહ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી લઈને વાલીયા ચોકડી સુધી લગભગ પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. નેશનલ હાઇવે પર ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પાં લાગી જતા ટ્રાફિક ધીમો પડ્યો હતો. અનેક સ્થળોએ બે-ત્રણ કલાક સુધી વાહનચાલકો અટવાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
વાલીયા ચોકડી નજીક આવેલા આમલાખાડી પરનો સાંકડો ઓવરબ્રિજ આ ટ્રાફિકજામનું મુખ્ય કારણ બન્યો હતો. આ બ્રિજ પર એક સમયે મર્યાદિત વાહનો જ પસાર થઈ શકતાં હોવાથી ટ્રાફિક ધીમો પડી જાય છે. ભારે વાહન વ્યવહારને કારણે આ વિસ્તાર વારંવાર ટ્રાફિકજામ માટે કુખ્યાત બની ગયો છે. વધતા વાહનોના ભારને કારણે લાંબા સમય સુધી પરિસ્થિતિ સામાન્ય બની શકી ન હતી.
સ્થાનિક લોકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે, આમલાખાડી નજીકનો ઓવરબ્રિજ વર્ષોથી ટ્રાફિક માટે સમસ્યા ઉભી કરતો આવ્યો છે. તહેવારના દિવસોમાં વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને તંત્રે અગાઉથી પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ હતી. તેઓએ તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક્શન પ્લાન બનાવવાની માંગ કરી છે, જેથી આવનારા સમયમાં મુસાફરોને આવો તકલીફજનક અનુભવ ન કરવો પડે.
