Amreli: રાજસ્થાનના અજમેરમાં હોટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોનો આજે એકસાથે ભારે હૈયે જનાજો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો અંતિમવિધિમાં જોડાયા હતા.
હકીકતમાં લાઠીમાં ચશ્માની દુકાન ધરાવતા અલ્ફાઝભાઈ નુરાની (30) તેમના પત્ની શબનમ નુરાની (26) અને 4 વર્ષના પુત્ર અરમાન સાથે ગત 27 એપ્રિલે અજમેર શરીફની યાત્રાએ ગયા હતા. જ્યાં તેઓ દરગાહ નજીક આવેલી હોટલ નાઝમાં રોકાયા હતા. જ્યાં ગત પહેલી મેના રોજ હોટલમાં આગ લાગવાથી દંપતી અને પુત્ર ભડથું થઈ ગયા હતા.
જે બાદ આજે વહેલી સવારે ત્રણેયના મૃતદેહને તેમના વતન લાઠીમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. માતા-પિતા અને પુત્રનો એકસાથે જનાજો નીકળતા હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં શહેરના લોકો અને સગા-સબંધીઓ પણ જનાજામાં જોડાઈને આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના પાઠવી હતી. આ સમયે સમગ્ર લાઠીમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.
