અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે, તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Sep 2025 08:28 PM (IST)Updated: Thu, 11 Sep 2025 08:28 PM (IST)
weather-expert-ambalal-patel-agahi-rain-during-navratri-till-dussehra
HIGHLIGHTS
  • ગુજરાતમાં સિઝનનો સરેરાશ 107.76 ટકા વરસાદ વરસી ચૂક્યો

Ambalal Patel Agahi: ગુજરાતમાં સતત ચોથા વર્ષે ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ પંદર દિવસ મોન્સૂન બ્રેકની સ્થિતિ રહ્યા બાદ ધીમે-ધીમે ગુજરાતમાં ચોમાસું જામ્યું હતુ. ગત સપ્તાહે ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ આવ્યો હતો, જેમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે, તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે.

આગામી 13 થી 17 સપ્ટેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં વધુ વરસાદી સિસ્ટમ બની શકે છે. આ લો પ્રેશરના કારણે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે.

નવરાત્રિમાં વરસાદની શક્યતા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. જો કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં સિઝનનો 107.76 ટકા વરસાદ વરસ્યો

આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 107.76 ટકા (950.26 મિ.મી) વરસાદ વરસી ચૂક્યો છે. જે પૈકી સૌથી વધુ 135.91 ટકા વરસાદ કચ્છ ઝોનમાં ખાબક્યો છે. જ્યારે સૌથી ઓછો 93.36 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. અન્ય ઝોનમાં જોઈએ તો, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્યમાં 110.10 ટકા તેમજ દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ નોંધાયો છે.