Ahmedabad: સમાજ કલ્યાણના અને જળ સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત અગ્રણી સંસ્થા ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા નાગપુર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'નાગપુર જળસંવાદ – 2026’ અને ‘જળક્રાંતિ પરિષદ’ દરમિયાન સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું તેમના વિશિષ્ટ સામાજિક કાર્યો અને જળ સંરક્ષણ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
પૂર્તિ સિંચન સમૃદ્ધિ કલ્યાણકારી સંસ્થાના રજત જયંતી વર્ષ નિમિત્તે આયોજિત આ રાષ્ટ્રીય મંચ પર દેશભરમાંથી જળ ક્ષેત્રે કામ કરતા ચૂંટેલા 50 નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ ખાસ અવસરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત દેશના જાણીતા અભિનેતા અને પાણી ફાઉન્ડેશનના સ્થાપક આમિર ખાન, નામ ફાઉન્ડેશનના પ્રમુખ અને પ્રખર અભિનેતા નાના પાટેકર, જાણીતા પર્યાવરણવિદ પદ્મભૂષણ ડૉ. અનિલ જોષી તેમજ પદ્મશ્રી ઉમાશંકર પાંડે જેવા રાષ્ટ્રીય ફલકના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.
આ તમામ શ્રેષ્ઠીઓની હાજરીમાં મંત્રી નીતિન ગડકરીએ ડો. મયુર જોષીની સામાજિક પ્રતિબદ્ધતા અને પર્યાવરણીય જાગૃતિના કાર્યોની સરાહના કરી હતી અને તેમને સન્માનિત કર્યા હતા.
આ સન્માન અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા ડો. મયુર જોષી જણાવ્યું કે, આ સન્માન વ્યક્તિગત નથી, પરંતુ ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ની આખી ટીમ અને જળ સંરક્ષણના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા દરેક સેવાભાવી વ્યક્તિનું સન્માન છે.
નીતિન ગડકરી તેમજ આમિર ખાન, નાના પાટેકર અને પદ્મભૂષણ ડૉ. અનિલ જોષી જેવા સમાજના સાચા નાયકોની ઉપસ્થિતિમાં મળેલું આ પ્રોત્સાહન અમને દેશહિત અને સમાજ પ્રત્યેની અમારી જવાબદારીઓને વધુ વેગ સાથે નિભાવવા પ્રેરણા આપશે.
ડો. મયુર જોષી 29 વર્ષથી ઉદગમ ટ્રસ્ટના સામાજિક કાર્યોમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શાસ્ત્રીય સંગીતના સંવર્ધન, જળ વ્યવસ્થાપન, પરંપરાગત જળ સ્ત્રોતોના પુનરુત્થાન અને હાલમાં ‘વિકસિત ભારત 2047’ના વિઝન સાથે પર્યાવરણીય સુરક્ષા માટે ગ્રામીણ અને શહેરી સ્તરે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.
