Communal Harmony in Ahmedabad: અમદાવાદ સ્થિત ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં ઇદે મિલાદ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે સામાજિક સમરસતા, માનવતા અને ડોક્ટર-દર્દીના વિશ્વાસનું એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું હતું.
બિહારની 14 વર્ષીય મુસ્લિમ દીકરી ઈકરા શેખે પોતાના સ્પાઈન સર્જન ડો. પીયૂષ મિત્તલના કાંડા પર પ્રેમ અને કૃતજ્ઞતાની રાખડી બાંધીને ધર્મ, જાતિ અને કોમના ભેદભાવથી પર એક અદ્ભુત સંદેશ આપ્યો હતો. રક્ષાબંધન અને ઈદના પર્વના સંગમ સમાન આ દિવસોમાં આ ઘટનાએ સાબિત કરી દીધું કે માનવતા અને સારવારનો સંબંધ કોઈ પણ સામાજિક સીમાઓથી ઘણો ઉપર છે.
મૂળ બિહારની ઈકરા શેખ, જેના મામા-મામી અમદાવાદમાં રહે છે, તેને અંદાજે થોડાં સમય પહેલા કમરનો સખત દુખાવો શરૂ થયો હતો. શરૂઆતમાં રૂટિન દવાઓ લીધા બાદ પણ ફરક પડતો નહોતો. દુખાવો અસહ્ય બન્યો ત્યારે અન્યત્ર તપાસ કરાવતા MRI રિપોર્ટના આધારે તેને ટીબી (TB) હોવાનું અને સર્જરી કરાવવી પડશે, તેમ કહેવામાં આવ્યું હતું. પરિવાર ગભરાઈ ગયો હતો, પરંતુ સચોટ માર્ગદર્શન માટે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા. અહીં ડાયરેક્ટર અને સિનિયર સ્પાઈન સર્જન ડો. પીયૂષ મિત્તલે ઈકરાની તપાસ કરી.
ડો. મિત્તલે સચોટ નિદાન માટે બાયોપ્સી કરાવવાની સલાહ આપી, પરંતુ 'બાયોપ્સી' શબ્દ સાંભળતા જ પરિવારજનોમાં ભય વ્યાપી ગયો કે દીકરીને કોઈ ગંભીર બીમારી તો નથી ને! પરિવારે બાયોપ્સી કરાવવાનો ઈનકાર કર્યો અને ટીબીની જ ટ્રીટમેન્ટ ચાલુ રાખવા વિનંતી કરી.
જો કે ડો. મિત્તલે વૈજ્ઞાનિક અભિગમ અને સમજાવટથી પરિવારને બાયોપ્સી માટે તૈયાર કર્યા. બાયોપ્સીના રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે ટીબી નહીં, પરંતુ 'સ્યુડોમોનાસ' બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું. કોઈ ખોટી સર્જરી કે ટીબીની ખોટી દવાઓ વિના, માત્ર યોગ્ય એન્ટિબાયોટિક સારવારથી જ ઈકરાને દુખાવામાં રાહત મળવા લાગી અને તે ઝડપથી સાજી થવા લાગી.
પોતાને મળેલી સારવાર અને નિદાન અંગેના સચોટ માર્ગદર્શન અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ૧૪ વર્ષીય ઈકરા શેખે જણાવ્યું, 'ડોક્ટર સાહેબે મને ખોટા રસ્તે જતાં અને મોટી સર્જરીથી બચાવી લીધી. મને લાગતું હતું કે મને ટીબી છે, પણ ડો. મિત્તલે સાચું નિદાન કરીને મને નવી જિંદગી આપી છે. રક્ષાબંધનના આ ખાસ દિવસે ડૉક્ટરને રાખડી બાંધીને આભાર માનવો એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. ડૉ. પીયૂષભાઈ મારા માટે માત્ર ડોક્ટર નથી, પણ એક ભાઈ અને રક્ષક સમાન છે.'
સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાયન્સ ક્લબ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત રક્ષાબંધન કાર્યક્રમમાં જ્યારે ઈકરાએ ડો. મિત્તલને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવસભર બની ગયું હતું.
આ પ્રસંગે પોતાના લાગણીસભર અનુભવને શેર કરતા ડો. પીયૂષ મિત્તલે જણાવ્યું, 'એક મુસ્લિમ દીકરી જ્યારે એક હિન્દુ ડોક્ટરને ભાઈ સમજીને રાખડી બાંધે છે, ત્યારે તે સામાજિક સમરસતાનું જીવંત દૃષ્ટાંત બની જાય છે. તબીબી ક્ષેત્રમાં યોગ્ય નિદાન વગર એન્ટિબાયોટિક્સ આપવાથી સુપરબગ અને રેઝિસ્ટન્સનો ભય રહે છે, જે અંગે તાજેતરમાં સરકારે પણ ભાર મૂક્યો છે.
બાયોપ્સી દ્વારા અમે સચોટ બેક્ટેરિયા શોધી શક્યા. પરંતુ આજે જ્યારે ઈકરાએ મને રાખડી બાંધી, ત્યારે એક ડોક્ટર તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે મને ગર્વ અનુભવાયો. આ ઘટના દર્શાવે છે કે ડોક્ટર અને દર્દીનો સંબંધ માત્ર દવા પૂરતો નથી, પણ વિશ્વાસ અને માનવતાનો છે."
આ સાથે જ સૌને અનુરોધ કરતા ડો. મિત્તલ જણાવે છે કે, કોઇપણ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં એના મૂળ સુધી જઈને ઇન્ફેક્શન વિશે સંપૂર્ણપણે તપાસ કરાવ્યા બાદ જ એની યોગ્ય ટ્રીટમેન્ટ શક્ય બને છે, એટલે ઈન્ફેક્શનમાં ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય તપાસ અને લેબ ટેસ્ટ્સ કરાવવા જરૂરી છે. ઘણી વખત યોગ્ય તપાસના અભાવે ખોટા નિદાનના લીધે બીમારી લાંબી ખેચાય છે અને ગંભીર પણ બને છે. આ ઘટના માત્ર એક તબીબી સફળતા નથી, પરંતુ રક્ષાબંધન અને ઈદના પવિત્ર દિવસોમાં સમાજને એકતા, પ્રેમ અને ભાઈચારાનો મોટો સંદેશ આપે છે.
