Shree Hanuman Chalisa Yuva Katha: અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા હનુમાન ચાલિસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના સાતમાં દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે, આજે બધા જય શ્રી રામના માહોલમાં આવી ગયા છે. અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડી આવી ગઇ છે. આ ઐતિહાસિક અવસરે આપણે સૌ રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવાનું આહવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેમાં આપણે સૌએ સહભાગી થવાનું છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બધા જય શ્રી રામના માહોલમાં આવી ગયા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધારથી 550 વર્ષની પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે. દુર્ગમ પ્રભુ શ્રી રામના આશિર્વાદના બળે અને રામભક્તોના પ્રેમના બળે વડાપ્રધાને ઇતિહાસ સર્જી બતાવ્યો છે. અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડી આવી ગઇ છે.
રામલલ્લાના નાના તંબુમાં બિરાજમાન હતા ત્યારે દુર્ગમ લાગતા યુગતમને સુગમ બનાવીને વડાપ્રધાને પ્રેમ અને આશિર્વાદના બળે એ સાકાર કરી બતાવ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતભરમાં ધાર્મિક નવજાગરણની એક લહેર ઉઠી છે. આ લહેરના ચરમ શીખરના આપણે સૌ આગામી 22 જાન્યુઆરીએ સાક્ષી બનવાના છીએ.
વર્ષમાં આપણને ખબર છેકે, એકવાર દિવાળી આવે પણ યુગમાં એકવાર દિવાળી આવે એવી દિવાળી 22મી જાન્યુઆરીએ આવી રહી છે અને એના આપણે બધા સહભાગી થવાના છીએ. સંઘર્ષભરી પાછલી 5 સદીઓમાં લાખો રામભક્તોએ અગણિત બલિદાન આપ્યા અને પરિશ્રમ કર્યો છે. ત્યારે આ દિવ્ય સુખની અનુભૂતિ થવા જઇ રહી છે.
રામલલ્લા પધારી રહ્યા છે અને સમગ્ર દેશ રામમય બન્યો છે. પણ આપણે સૌ જાણીએ છીએ તેમ દુનિયા ચલે ન શ્રી રામ કે બીના, રામજી ચલે ના હનુમાનજી કે બીના…પ્રભુ શ્રી રામનો પરમ અવસર હોય ત્યારે સૌ રામમય હોય પણ રામને સૌથી પહેલી યાદ હનુમાનજીની આવે. ભગવાન રામની એ ભાવનાને હનુમાન ચાલિસા યુવા કથા પવિત્ર આયોજન દ્વારા સાકાર કરી રહ્યાં છે. કષ્ટભંજન દેવ સમિતિ તથા અન્ય આયોજકોને ખૂબખૂબ સાધુવાદ આપું છું.
આજે અહીંથી એક સિવિલ હોસ્પિટલની વાત થઇ બોટાદની. જ્યાં સારુ કામ થતું હોય ત્યાં સરકારની ક્યાંય ના નથી. જો હોસ્પિટલ થતી હશે અને સરકારને ક્યાંય ઉભા રહેવાની જરૂર હશે તો સરકાર જોડે ઉભી રહીને તૈયાર કરાવશે. ભગવાન શ્રી રામના આગમનના ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને સૌને ઘરે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી ઉજવવાનું આહવાન કર્યું છે.
રામ લલ્લના દર્શનની આતુરતા આપણને સૌને હોય પણ 22મી જાન્યુઆરીએ ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થઇ જાય પછી 23મી જાન્યુઆરીથી આપણે સૌ અયોધ્યા દર્શન કરવા માટે નીકળવાનું છે. ગુજરાતીઓ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા જાય એટલા માટે કોઇ મુશ્કેલી ન નડે અને સુવિધા મળી રહે એ માટે ગુજરાતે ત્યાં એક પ્લોટ લઇ લીધો છે. ગુજરાતના ભક્તોને કોઇ મુશ્કેલી ન પડે એ માટે ધીમે ધીમે બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
