Bar Council Of Gujarat New Office Bearers: બાર કાઉન્સિલ ઑફ ગુજરાત (BCG)ની ચૂંટણી બાદ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલની બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના મેમ્બર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આજની સામાન્ય સભામાં વલસાડના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.ડી. પટેલની બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત નિમિષા ધોત્રે (પટેલ)ને BCGના વાઈસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, બાર કાઉન્સિલ ઑફ ગુજરાત (BCG)ના ઈતિહાસ પ્રથમ વખત કોઈ મહિલા વકીલની વાઈસ ચેરમેન જેવા મહત્ત્વના પદ પર નિમણૂંક કરવામાં આવી છે. નવનિયુક્ત બન્ને હોદ્દેદારો હવે કાઉન્સિલિંગની કામગીરીમાં નેતૃત્વની ભૂમિકા ભજવશે.
બાર કાઉન્સિલની નવી કમિટીની પણ રચના કરાઈ
BCGના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી સાથે નવી કમિટીની પણ રચના કરવામાં આવી છે. જેમાં અનિરુદ્ધસિંહ ઝાલા, મનોજ અનડકટ, દીપેન દવે, ભરત ભગત તેમજ અમૃતા ભારદ્વાજની કમિટી મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
