Ahmedabad: ગત 13 જુલાઈના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય નેનુ નામની પાટીદાર યુવતીએ એક યુવકના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત (Surat Patidar Girl Suicide) કરી લીધો હતો. આ મામલે પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ પાટીદાર સંસ્થાઓ મૃતક યુવતીના પરિવારની પડખે ઉભા છે. પાટીદાર અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગુનેગારોને સખ્ત સજા કરવાની માંગ કરી છે. એવામાં હવે આ મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે એક વીડિયોના માધ્યમ થકી યુવા પેછીને ખાસ કરીને દીકરીઓએ એક સંદેશ આપ્યો છે.
આર.પી.પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વીડિયો અપલોડ કરીને સંદેશમાં જણાવ્યું કે, સુરતની દીકરીએ માત્ર 19 વર્ષની વયે આપઘાત કર્યો. આ આપઘાત સમાજ અને સરકાર માટે એક પ્રશ્ન મૂકીને જાય છે. આજની યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિક્તા ઘટતી જાય છે, જેનું આ પરિણામ હોઈ શકે છે.
જો કે એક વાત ચોક્કસ છે કે, આ પ્રકારના અસામાજિક પરિબળો આજની દીકરીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. જાણી-અજાણે કુમળી વયની દીકરીઓ આમાં ફસાઈ જાય છે અને કોઈ માર્ગ ના દેખાય, ત્યારે આવું અંતિમ પગલું ભરતી હોય છે.
ગુજરાતના ગૃહમંત્રીના શહેરમાં આવી ઘટના બને, ત્યારે ગંભીરતા વધી જાય
જ્યારે ગુજરાતના ઉત્સાહી અને યુવાન ગૃહમંત્રીના શહેરમાં આવી ઘટના બને, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. કાયદાનું પાલન જરૂરી છે, પણ સાથે-સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે. કાયદાના ડર વિના આવા અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિત શત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
મારે આજની યુવા પેઢીને કહેવું છે કે, તમે શા માટે આપઘાત કરો છો. દીકરીઓ તમે તમારા પર્સમાં એક નાનું 6 ઈંચનું ત્રિશૂળ સ્વરક્ષા માટે રાખો. સ્વરક્ષા માટે પ્રતિકાર કરવો કોઈ ગુનો નથી. અસામાજિક તત્વો વરુના સ્વરૂપમાં સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા છે, ત્યારે તમારે સ્વયં તૈયાર થવું પડશે. તમે દુર્ગા અને માઁ કાળીનું સ્વરૂપ છો, તમારામાં શક્તિ છે. આપણે સૌ શક્તિના જ ઉપાસકો છીએ, ત્યારે આવા સંજોગોમાં આપઘાત ના કરશો અને પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરો.
ગુજરાતની અંદર કાયદોનો ડર પેદા થવો જોઈએ આપણે બધા જ ઈચ્છીએ કે આ પ્રકારનો ડર એ ક્રિએટ થાય જેથી કરીને આ પ્રકારના કૃત્ય કરતા લોકો 100 વાર વિચાર કરે.ભારતના એક રાજ્યની અંદર આ પ્રકારનો ખોફ ઊભો થયો છે અને એના કારણે એવા ઘણા અસામાજિક તત્વો એ રાજ્ય છોડીને બહાર જતા રહ્યા છે. આવો જ એક ખોફ અને ડર ગુજરાતમાં પણ યુવા પેઢીને સુરક્ષિત કરવા માટે ચોક્કસથી ઉભો થાય તો જ મને એમ લાગે છે કે આ પ્રકારના પ્રસંગો બનતા અટકી શકશે.
