Ahmedabad: કોંગ્રેસ સંગઠન સ્તરના પાયલટ પ્રોજેકટ માટે રાહુલ ગાંધી ગુજરાતમાં, મોડાસાથી 'સંગઠન સર્જન અભિયાન'નો આરંભ કરશે

પ્રથમ બેઠકમાં જ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતના નિરીક્ષકોની ટીમ જિલ્લા લેવલે જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Apr 2025 06:05 PM (IST)Updated: Tue, 15 Apr 2025 06:08 PM (IST)
ahmedabad-news-rahul-gandhi-arrived-in-gujarat-for-congress-pilot-project
HIGHLIGHTS
  • ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને શક્તિશાળી બનાવવાની રણનીતિ

Ahmedabad: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. પોતાના બે દિવસના પ્રવાસ અંતર્ગત રાહુલ ગાંધી અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને તેમને માર્ગદર્શન આપવાના છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને શક્તિશાળી બનાવવાનું છે.

અમદાવાદ એરપોર્ટ પરથી રાહુલ ગાંધીનો કાફલો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યો હતો. જ્યાં લગભગ 2 કલાક સુધી તેમની બેઠક યોજાઈ હતી. જે બાદ રાહુલ ગાંધી સર્કિટ હાઉસ જવા રવાના થયા છે, જ્યાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરવાના છે.

રાહુલ ગાંધીએ ડિસ્ટ્રિક્ટ ઓબ્ઝર્વર્સના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સભાને સંબોધિત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ 'સંગઠનથી સર્જન અભિયાન' અભિયાન અંતર્ગત પાર્ટીને દરેક સ્તર પર મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. આ માટે સતત યોગ્ય રણનીતિ ઘડવામાં આવી રહી છે.

આ અંગે વિગતો આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, પાર્ટીના જિલ્લા એકમને સશક્ત બનાવવા માટે સમય સાથે શું ફેરફાર કરવા જોઈએ, તે નક્કી કરવા માટે મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં એક કમિટિ બનાવી હતી. 9 સભ્યોની આ કમિટીએ વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કર્યાં બાદ પાર્ટીના જનરલ સેક્રેટરી સાથે મળીને તેના પર મંથન કર્યું હતુ. જે બાદ જિલ્લા અધ્યક્ષો સાથે દિલ્હીમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યું હતુ. જે બાદ વર્કિગ કમિટીએ કેટલાક સુધારા સૂચવ્યા હતા, જેના આધારે અંતિમ પ્લાન બનાવવામાં આવ્યો છે.

મને આનંદ છે કે, જિલ્લા એકમોને સશક્ત બનાવવા માટે જે યોજના બનાવવાામં આવી, તેનો પાયલોટ પ્રોજેકટ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી ખુદ તેના લોન્ચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતમાં કહેવત છે કે, પંચ ત્યાં પરમેશ્વર એમ પાર્ટીના 5 પ્રભારીઓ જિલ્લા મથકે જવાના છે. સેન્ટ્રલમાંથી આવેલા 1 નેતા અને ગુજરાતના 4 એમ 5 લોકોનું પંચ જિલ્લા લેવલે જશે. અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે.

આજે અમદાવાદના કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે 16 એપ્રિલના રોજ મોડાસામાં આયોજિત સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરશે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના 1200 બૂથ નેતાઓને માર્ગદર્શન આપશે. આ અભિયાન અંતર્ગત દરેક બૂથો પર કાર્યકર્તાઓને મતદાતાઓને બૂથ સુધી પહોંચાડવા અને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કમિટીએ રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીને લઈને મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં AICC સચિવ અને ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી શુભાશિની યાદવ, ઉષા નાડયુ, ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના નેતાઓ સામેલ થયા હતા.

અગાઉ 3 એપ્રિલના રોજ દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોને વધારે અધિકાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ ગત 8 અને 9 એપ્રિલના રોજ પણ રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો.