Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી.
આશરે 90 વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ના 10 દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ ભક્તિ અને સનાતન સંસ્કારોના અવિરત કેન્દ્ર સમા રામધામ મંદિરે દર્શન કરી, ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ‘જય શ્રી રામ’ તથા ‘શ્રી રામધૂન’થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના પીઠાધીશ દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી સહિતના સંતો-મહંતો, મંદિરના ટ્રસ્ટીઓ, દાતાઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ નવકુંડી શ્રીરામ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે અમદાવાદના થલતેજ ખાતે શ્રી રામધામ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત નવકુંડી શ્રીરામ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી સૌની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી.
