Ahmedabad: નવરાત્રીમાં ગરબા આયોજકો માટે ગાઈડલાઈન, અમદાવાદ કોર્પોરેશનના ફાયર વિભાગે 30 નિયમો જાહેર કર્યાં

મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવી પડશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Sep 2024 05:14 PM (IST)Updated: Wed, 25 Sep 2024 05:14 PM (IST)
ahmedabad-news-guidelines-for-garba-organizer-for-navratri-2024

Ahmedabad, Navratri 2024: નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગરબા આયોજકો દ્વારા પણ તડામાર તૈયારી કરી લેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે ગાઈડલાઈન (Guidelines For Garba Organizer) જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગરબા આયોજકોને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા ભારપૂર્વક સૂચન કરવામાં આવ્યું છે .

ગરબા આયોજકો માટેની ગાઈડલાઈન (Guidelines For Garba Organizer)

  • નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર બનાવવાનું રહેશે. મંડપમાં ફાયરના વાહનો આવી શકે, તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.
  • નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, હાઈટેન્શન લાઈન કે રેલવે લાઈનથી દૂર કરવાના રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં.
  • આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં તથા આ સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારના પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં.
  • પંડાલની ક્ષમતા મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.
  • નવરાત્રીના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં. ઇમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઇમરજન્સી એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.
  • નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ, દર્શકો, ખેલૈયાઓ પ્રવેશે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.
  • નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે 'Emergency Exit' રાખવાના રહેશે. જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મી. ઓપનિંગ હોય તે મુજબનું રાખવાનું રહેશે.
  • નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટો ગ્લો મટીરીયલમાં સાઈન લગાવવા- 'NO SMOKING ZONE', 'Exit' 'Emergency Exit'.
  • નવરાત્રી આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મી.થી વધારે ન હોવો જોઈએ.
  • આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટ કરાવવા, વધુમાં જમીન ઉપર બિછાવવા જો, કાર્પેટ પણ આગ સકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે. આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ અંગે ગર્વમેન્ટ એપ્રુવ્ડ ઇલેક્ટ્રિક ઇજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે.
  • પંડાલમાં કરવામાં આવનાર વાયરિંગ પીવીસી આવરણવાળા કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરિંગના તમામ જોઈન્ટ પોર્સેલિન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે.
  • આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવાનું રહેશે. આયોજકો દ્વારા ઇલેક્ટ્રિકનું મુખ્ય સ્વિચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ.માં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રિક જંક્શન બોર્ડ પાઈલોટ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.
  • સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટ્સ કે મંડપના કોઈ ભાગ કે શુશોભન અથવા સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી.ની અંદર રાખવાના રહેશે નહીં.
  • સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહારના સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી કે પદાર્થ, પ્રવાહી રાખવાના રહેશે નહીં તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં.
  • સંચાલકો દ્વારા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવવાની સામગ્રી, ધૂમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પદાર્થ કે જ્યોત ઇત્યાદિ રાખવાની રહેશે નહીં.
  • મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલ હોય તો ફરજિયાત તેમાં સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે.
  • સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી-આઈ/જી.આઈ. સીટ 6 સે.મી. કરતા ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે.
  • સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે. મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંસેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવાના રહેશે.
  • સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એક્સ્ટિંગ્ગુઇશરનો ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓને અચૂક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.
  • સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે.
  • પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના 0.75 લિટર/ચો.મી. કરતા ઓછો હોવો જોઈએ નહીં તથા પાણીનો પુરવઠો ડ્રમ/બકેટમાં સુવ્યવસ્થિત ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.
  • અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગતા વિભાગના ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે.