Ahmedabad: 'ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું..!' - ગુજરાતની આ જાણીતી ઉક્તિ આજે હિંમતનગર હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા યુવકો પર સુપેરે બંધ બેસે છે. હકીકતમાં શામળાજી-હિંમતનગર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના મોતને ભેટેલા મોટાભાગના યુવકો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા હોવાનું માલૂ પડ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારના સમયે GJ-01-RU-0077 નંબરની ઈનોવા કાર પુરપાટ શામળાજીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દરમિયાન વહેલી સવારે હિંમતનગર હાઈવે પર આવેલ સહકારી જીન નજીક પુરપાટ દોડી રહેલી ઈનોવા કારણે આગળ જઈ રહેલા ટ્રેલરમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી.
ઈનોવાનો કચ્ચરઘાણ,ગેસ કટરથી કારના પતરાં ચીરીને મૃતદેહ બહાર કઢાયા
જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે કાર એટલી સ્પીડમાં હતી કે, અડધી કાર ઈનોવામાં ઘૂસી ગઈ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવા માટે ગેસ કટરની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી હાલ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં કારમાં સવાર 8 યુવકો અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી મૃતકોની ઓળખ ચિરાગ ધનવાની (23), સાગર ઉદાણી (25), ગોવિંદ રામરાણી (28), રાહુલ મૂલચંદાણી (23) (તમામ રહે. કુબેરનગર), રોહિત રામચંદાણી (25, રહે. નરોડા), રોહિત શીરવાણી (નાના ચિલોડા) અને ભરત કેશવાણી (રહે. ઠક્કરનગર) તરીકે થઈ છે.
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ પોલીસ દ્વારા ગેસ કટરની મદદથી ઈનોવાના પતરા ચિરીને તમામના મૃતદેહોનો બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તમામ યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ આ અકસ્માતની જાણ અમદાવાદ રહેતા મૃતકોના પરિવારજનોને થતાં તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતુ.
