Ahmedabad: અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીમાં આજે એક યુવકની લાશ તરતી મળી આવી હતી. મૃતક યુવકના હાથમાં મોબાઈલ નંબર લખ્યો હોવાથી તેની ઓળખ થઈ હતી.
હાથ પર હિન્દીમાં લખ્યું હતુ- 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે સવારે સાડા 10 વાગ્યાની આસપાસ સાબરમતી નદીમાં એક અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યુ તેમજ પોલીસની ટીમનો કાફલો રિવરફ્રન્ટ પહોંચી ગયો હતો. જ્યાં રિવર રેસ્ક્યુ ટીમે યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢીને પોલીસને સોંપી હતી.
પોલીસે યુવકની તલાસી લેતા તેના હાથમાં હિન્દીમાં લખાણ મળી આવ્યું હતુ. જેમાં યુવકે મોબાઈલ નંબર સાથે લખ્યું હતુ કે, 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'.
જેથી પોલીસે લખેલા નંબર પર ફોન કરતાં યુવકની ઓળખ રોહિત પ્રજાપતિ તરીકે થઈ હતી, જે રાજસ્થાનના ડુંગરપુરનો વતની હતો. હાલ તો રિવરફ્રન્ટ પોલીસે રોહિતના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
