Ahmedabad: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોને કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત માર્ચ મહિનામાં જ ગેંગવોરમાં તોફાની ટોળાએ મોડી રાતે હથિયારો સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાદ હરકતમાં આવેલી પોલીસે તોફાની તત્વોને પકડીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. એવામાં આજે આવો જ વધુ એક બનાવ અહીંની શ્રીધર સ્પર્શ સોસાયટીમાંથી સામે આવ્યો છે. જેમાં કેટલાક તોફાની તત્વોએ ભજન કરતી મહિલાઓ પર હિચકારો હુમલો કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં કેટલીક મહિલાઓ શાંતિથી ભગવાનના ભજન-કિર્તન કરી રહી હતી. આ સમયે કેટલાક બદમાશો ભજન મંડળીમાં ઘૂસી ગયા હતા. જ્યાં ભજન કરતી મહિલાઓ કંઈ સમજે, તે પહેલા જ તેમના પર હુમલો કરી દીધો હતો.
અચાનક થયેલા હુમલાના પગલે મહિલાઓની ચીસાચીસથી સોસાયટીનો કોમન પ્લોટ ગુંજી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યો છે.
જેમાં કેટલાક યુવકો ભજન કરતી મહિલાઓ પર તૂટી પડી છે. જે પૈકી એક મહિલાનો ચોટલો પકડીને તેને નીચે પટકવામાં આવે છે. જ્યારે નીચે પડેલી મહિલાને લાતો મારવામાં આવી રહી છે. તેમજ એક મહિલાને છૂટી ખુરશીનો ઘા કરીને મારવામાં આવી રહી છે. આ હુમલામાં એક માજીને માથામાં ઈજા થતાં લોહીલુહાણ જોવા મળી રહ્યા છે. આ હુમલા બાદ મહિલાઓમાં ભય ફેલાઈ ગયો હતો.
મહિલાઓ પર ક્યા કારણોસર હુમલો કરવામાં આવ્યો, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બીજી તરફ મહિલાઓ ન્યાય માટે ઓઢવ પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં તેમણે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પીડિત મહિલાઓની એક જ માંગ છે કે, પોલીસ તાત્કાલિક આ મામલાની તપાસ કરે અને હુમલો કરનારા બદમાશોને પકડીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ના બને અને શહેરમાં શાંતિ જળવાઈ રહે.
