Sanjay Leela Bhansali FIR: બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. 'લવ એન્ડ વોર' (Love and War) ને લઈને રાજસ્થાનના બીકાનેરમાં સંજય લીલા ભણસાલી અને અન્ય બે લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ FIR છેતરપિંડી, દુર્વ્યવહાર અને વિશ્વાસઘાતના આરોપો હેઠળ દાખલ કરવામાં આવી છે.
સંજય લીલા ભણસાલી સામે ફરિયાદ
સંજય લીલા ભણસાલી સામે ફરિયાદ કરનાર ફરિયાદી પ્રતીક રાજ માથુર છે, જેણે દાવો કર્યો છે કે ભણસાલીએ તેને લાઇન પ્રોડ્યુસર તરીકે કરાર આપ્યો હતો, પરંતુ બાદમાં તે રદ કરવામાં આવ્યો. પ્રતીક રાજ માથુરના જણાવ્યા અનુસાર તેમણે ફિલ્મના શૂટિંગ માટે વહીવટી મંજૂરી, સુરક્ષા, હોટલ બુકિંગ સહિતની તમામ તૈયારીઓ સંભાળી હતી. પરંતુ કામ કરાવ્યા બાદ તેમને કોઈપણ ચુકવણી કર્યા વિના પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
શું છે આરોપ
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે 17 ઓગસ્ટના રોજ જ્યારે પ્રતીક બીકાનેરના હોટેલ નરેન્દ્ર ભવન પહોંચ્યો, ત્યારે ભણસાલી સાથે હાજર ઉત્કર્ષ અને અરવિંદ ગિલ દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તેમણે કરાર માનવાનો ઇનકાર કરવામાં આવ્યો અને ચેતવણી આપવામાં આવી કે ભવિષ્યમાં પ્રતીકની કંપનીને કોઈ કામ નહીં મળે.
પ્રતીકે પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. બાદમાં, કોર્ટના નિર્દેશ પર બીકાનેરના બીછવાલ પોલીસ સ્ટેશનમાં સંજય લીલા ભણસાલી, અરવિંદ ગિલ અને ઉત્કર્ષ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને ધમકી આપવા જેવા આરોપો હેઠળ FIR નોંધવામાં આવી છે.
ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. રણબીર અને વિકી ભારતીય વાયુસેનાના પાયલોટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 20 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.