Solar Panel Subsidy Status: 'પીએમ સૂર્યઘર યોજના' (PM Surya Ghar Yojana) અંતર્ગત કેન્દ્ર સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
બીજી તરફ લોકો પણ લાઈટ બિલ ઓછું ભરવું પડે અને પૈસા બચે, તે માટે ધાબા પર સોલાર પેનલ લગાવવા માટે આગળ આવી રહ્યો છે. એવામાં જો તમે પણ સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા હોન, તો તમે પણ કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો ફાયદો ઉઠાવી શકો છો.
આ યોજના અંતર્ગત લાયકાત ધરાવતા લોકોને સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપવામાં આવે છે. આ સાથે સબસિડીના પૈસા તમારા બેંક ખાતામાં ક્યારે જમા થાય, તેની જાણકારી પણ તમને હોવી જ જોઈએ.
સોલાર પેનલ અને સબસિડી માટે શું છે પ્રોસેસ
સોલાર પેનલ પર સરકાર તરફથી સબસિડી મેળવવા માટે સૌ પ્રથમ તો તમારે ઑનલાઈન અરજી કરવી પડશે. આ માટે એકદમ સરળ પ્રક્રિયા ફૉલો કરવી પડશે. સૌ પ્રથમ તમે 'પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના' (PMSGMBY)ના પોર્ટલ પર જાવ. અહીં તમારું રાજ્ય અને કન્ઝ્યુમર એકાઉન્ટ નંબર અને વીજળી કંપનીનું નામ દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો. જે બાદ સોલાર પેનલ માટે અરજી કરો.
એકવાર અરજી કર્યાં બાદ વીજ કંપનીના કર્મચારીઓ તમારા ઘરે આવીને સોલાર પેનલ લગાવવાની તપાસ કરીને એપ્રુવલ આપશે. એકવાર એપ્રુવલ મળી ગયા બાદ સરકાર સાથે ટાઈ અપ વેન્ડર પાસેથી જ તમારે સોલાર પેનલ લગાવવી પડશે.
સોલાર પેનલ લગાવ્યા બાદ તમારે નેટ મીટર માટે અરજી કરવી પડશે. એકવાર મીટર ઈન્સ્ટોલ થઈ ગયા બાદ વીજ કંપની કમિશનિંગ સર્ટિફિકેટ પોર્ટલ પર અપલોડ કરશે. હવે તમારે બેંક એકાઉન્ટ નંબર અને કેન્સલ ચેક અપલોડ કરવો પડશે, જે બાદ સબસિડીની પ્રક્રિયા શરૂ થશે.
સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થાય?
નેટ મીટર લગાવ્યા બાદ વીજ વિભાગ દ્વારા આપવામાં આવેલ કમિશનિંગ સર્ટિફિકેટ જમા થઈ જાય છે. જેના 30 થી 45 દિવસ એટલે કે મહિનાથી દોઢ મહિનાની અંદર સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.
તમે સબસિડીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છે. જેના માટે પીએમ સૂર્યઘર પોર્ટલ પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરીને સબસિડી સાથે સંકળાયેલ અરજીની સંપૂર્ણ વિગતો જોઈ શકો છો.
