Pitru Paksha 2026: દેવઉઠી અગિયારસ બાદ લગ્નની સિઝન પુરજોશમાં શરૂ થઈ જાય છે. એવામાં જે ઘરોમાં લગ્ન હોય, તેમની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, જો વચ્ચે 'પિતૃ પક્ષ' આવી જાય, તો શું લગ્નની ખરીદી ટાળી દેવી જોઈએ?
હિન્દુ ધર્મમાં અનેક સમાજો અને પરિવારોની અંદર વર્ષોથી એવી માન્યતા પ્રવર્તી રહી છે કે, શ્રાદ્ધના દિવસોમાં નવા વસ્ત્રો, ઘરેણા કે કોઈ પણ શુભ વસ્તુ ના ખરીદવી જોઈએ. તો ચાલો આપણે જાણીએ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે અને શાસ્ત્રો તેના વિશે શું કહે છે?
શું શ્રાદ્ધમાં ખરીદી ના કરવી જોઈએ?
આપણે ઘરના વડીલો પાસેથી અવારનવાર સાંભળીએ છીએ કે, પિતૃ પક્ષ અર્થાત શ્રાદ્ધમાં ખરીદી ના કરવી જોઈએ, કારણ કે અશુભ માનવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે, શાસ્ત્રોમાં દરેક પ્રકારની ખરીદી પર રોક લગાવવા અંગે કોઈ સ્પષ્ટ નિયમ નથી.
જ્યોતિષના પ્રસિદ્ધ ગ્રંથ 'મુહૂર્ત ચિંતામણી'માં જણાવ્યા પ્રમાણે, વર્ષ દરમિયાન પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરી શકાય છે. આથી માત્ર પિતૃ પક્ષ હોવાથી વસ્તુઓ ખરીદવી અશુભ ના માની શકાય.
શું શ્રાદ્ધમાં શોક પાળવો યોગ્ય છે?
મોટાભાગના લોકો પિતૃ પક્ષને શોક કે દુઃખનો સમય સમજે છે, જે યોગ્ય નથી. હકીકતમાં આ સમય આપણા પૂર્વજોને યાદ કરવા અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો છે. આ સમયગાળા દરમિયાન પૂજા-પૂઠા, દાન-પુણ્ય અને સાદગીથી રહેવું સારું માનવામાં આવે છે. આ દરમિયાન સાચા મનથી કરવામાં આવેલા સકારાત્મક અને સાત્વિક કાર્યો અને દાનનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે.
શું લગ્નની શૉપિંગ કરવી યોગ્ય છે?
આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં કોઈ પણ ફંક્શનની તૈયારીઓ માટે આમ પણ વ્યક્તિને ખૂબ જ ઓછો સમય મળે છે. જો તમારા ઘરમાં પિતૃ પક્ષની તરત બાદ કોઈ લગ્ન જેવો શુભ પ્રસંગ આવી રહ્યો હોય, તો તમે કોઈ પણ સંકોચ વિના કપડા, દાગીના સહિત અન્ય જરૂરી ચીજ-વસ્તુઓ ખરીદી શકો છે. કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં ખરીદીને લઈને સખ્ત મનાઈ નથી.
આપણા પૂર્વજો પણ હંમેશા પરિવારની પ્રગતિ અને ખુશીઓ જ ઈચ્છે છે. આથી આ સમયગાળા દરમિયાન ખાલી એક વાતનું ધ્યાન રાખજો કે, જે કોઈ પણ કામ કરો, તેને પુરી સકારાત્મક્તા સાથે કરો. આ સાથે જ કોઈ પણ શુભ કામ કરતાં પહેલા મનોમન પૂર્વજોને યાદ કરીને તેમના આશીર્વાદ જરૂર લો.
