8th Pay Commission: હાલના દિવસોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ 8માં પગાર પંચના લાગુ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ તેમનો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે, તેના પર મીટ માંડીને બેઠા છે. આ સાથે જ એક સવાલ પણ થઈ રહ્યો છે કે, શું આ પગાર પંચમાં મોંઘવારી ભથ્થા અને બેઝિક સેલેરીને મર્જ કરી દેવામાં આવશે?
હકીકતમાં જૂના નિયમ મુજબ, જ્યારે મોંઘવારી ભથ્થુ અર્થાત DA 50 ટકાથી ઉપર થઈ જતું હોય, તો તેને બેઝીક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવતું હતુ. સરકારી કર્મચારીઓની માંગ છે કે, નવા પગાર પંચમાં પણ જૂનો નિયમ યથાવત રહેવો જોઈએ.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વખત મોંઘવારી ભથ્થાને બેઝીક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવી શકે છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હાલ DAને મોંઘવારી ભથ્થામાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
મોંઘવારી ભથ્થાની ગણતરી
DAની ગણતરી મુખ્યત્વે AICPI‑IWના આંકડાના આધારે થતી હોય છે. હાલમાં DAનો બેઝ યર 2016 છે, જેને સાતમું પગાર પંચ લાગુ થયા બાદ સેટ કરવામાં આવ્યો હતો. હવે 8મું પગાર પંચ લાગુ થતાની સાથે જ આ બેઝ યર 2016માંથી 2026 થવાની પુરેપુરી શક્યતા છે. આમ થશે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શુન્યથી શરૂ થઈ શકે છે.
બીજી તરફ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ વખતે ફિટમેન્ટ ફેક્ટર એટલે કે બેઝીક સેલેરી વધવાની મલ્ટીપ્લાયર લગભગ 2.86 સુધી હોઈ શકે છે. જેનાથી બેઝીક સેલેરી 18 હજારથી વધીને સીધી 51 હજાર રૂપિયા થઈ શકે છે. જો કે આ માત્ર અંદાજો જ છે. પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ અંતિમ વધારો નક્કી કરવામાં આવશે.
સરકારે સાતમા પગાર પંચ અંતર્ગત જુલાઈ-સપ્ટેમ્બર 2025ની મુદ્દત માટે DA અને DRમાં 3 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે જ DA/DR 58 ટકા પર પહોંચી ગયો હતો. જે સાતમા પગાર પંચનો છેલ્લો વધારો માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ જૂના નિયમ મુજબ, DA 50 ટકાની પાર પહોંચતા જ તેને બેઝીક સેલેરીમાં મર્જ કરવો પડતો હતો, પરંતુ આ નિયમ હમણાં લાગુ નથી કરવામાં આવ્યો.
