Navratri 2025 events Ahmedabad: નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદમાં અત્યારથી ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે ફરી એકવાર રાતલડી – ધ મંડળી ગરબા 2025, દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું છે. જે આગામી 21 સપ્ટેમ્બરથી પ્રિ-નવરાત્રી સાથે શરૂ થશે. જેમાં જાણીતા ગાયક જિગરદાન ગઢવી પર્ફોમ કરશે.
આયોજક ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે ગરબાને ગત વર્ષ કરતાં પણ વધુ ભવ્ય બનાવવામાં આવ્યા છે. આગામી 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલનારા આ દસ દિવસના ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ તેમના અનોખા ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી આ નવરાત્રિ અવિસ્મરણીય બનાવશે. આ વર્ષે ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે ગરબા પ્રેમીઓને એક અનોખો અનુભવ પૂરો પાડશે.
જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક મંચ પર લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને રજૂ કરતો આ મહોત્સવ સૂર્યોદય સુધી ગરબા રમવા માટે પ્રેરિત કરશે. આયોજકોએ ગરબા રસિકોની સુરક્ષા, આરામ અને આનંદને પ્રાથમિકતા આપીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. આ ભવ્ય આયોજન અમદાવાદની નવરાત્રીને એક નવી ઓળખ અપાવશે.