Shreyas Iyer India T20I Captain: સૂર્યકુમાર યાદવ માટે એક તરફ ખુશીના સમાચાર છે તો બીજી તરફ તેની ચિંતા વધારે તેવા રિપોર્ટ છે. સૂર્યકુમાર યાદવની ઘરે પુત્રીનો જન્મ થયો છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. તાજેતરમાં ભારતને T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની કેપ્ટનશીપ ગુમાવી શકે છે. અહેવાલો મુજબ, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
સૂર્યકુમાર યાદવના ફોર્મ અને ઈજા અંગે ચિંતા
આ પણ વાંચો
IPLમાં જ ધૂઆધાર પ્રદર્શન કરી નેશનલ ટીમમાં સ્થાન મેળવનાર સૂર્યાકુમાર યાદની કરિયર હાલની આઈપીએલ સિઝન જ ખતમ કરી દેશે તેવું લાગે છે. આ સિઝનમાં તેનું પ્રદર્શન નિરાશાજનક છે. તેણે 10 મેચમાં 195 રન બનાવ્યા છે. IPLની 2025ની સિઝનમાં સૂર્યા ઓરેન્જ કેપની યાદીમાં બે નંબર પર રહ્યો હતો. તેણે 16 મેચમાં 717 રન બનાવ્યા હતા.જેમા 5 ફિફ્ટી ફટકારી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પસંદગીકારો સૂર્યકુમારના બેટથી નીકળી રહેલા ઓછા રનથી નિરાશ છે. વ્યક્તિગત રીતે તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વર્લ્ડ કપ 2026 માં તેમના કુલ 242 રનમાંથી 84 રન માત્ર અમેરિકા સામે આવ્યા હતા, જ્યારે અન્ય મહત્વની મેચોમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ લાંબા સમયથી જમણી કલાઈની ઈજા (Wrist Injury) થી પીડાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા 10 મેચમાં તેઓ માત્ર 195 રન જ બનાવી શક્યા હતા. તેમની વધતી ઉંમર (35 વર્ષ) અને ફિટનેસ સમસ્યાઓને કારણે પસંદગીકારો હવે નવા વિકલ્પ તરફ જોઈ રહ્યા છે. સૂર્યકુમારે આગામી બે વર્ષ સુધી કેપ્ટન રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેમનું ખરાબ ફોર્મ તેમાં અવરોધ બની શકે છે.
શ્રેયસ ઐયર કેમ છે પ્રથમ પસંદગી?
શ્રેયસ ઐયર હાલમાં ભલે T20 ટીમનો ભાગ ન હોય, પરંતુ IPL માં તેમની શાનદાર કેપ્ટનશીપના રેકોર્ડને કારણે તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ઐયરની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમ 2020 માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી, ત્યારબાદ 2024 માં તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું હતું. હાલમાં IPL 2026 માં પંજાબ કિંગ્સ માટે કેપ્ટન તરીકે તેમણે પ્રભાવશાળી કામગીરી કરી છે, જ્યાં તેમની ટીમે પ્રથમ 7 માંથી 6 મેચ જીતી હતી અને તેમણે પોતે 9 ઇનિંગ્સમાં 333 રન બનાવ્યા છે.
આગામી લક્ષ્ય અને વ્યૂહરચના
ભારતીય ક્રિકેટ બોર્ડ હવે 2028 ના ઓલિમ્પિક અને આગામી વર્લ્ડ કપ ચક્ર માટે ટીમને નવી તાજગી આપવા માંગે છે. પસંદગીકારોનું માનવું છે કે T20 ફોર્મેટમાં હવે 'ફ્રેશ એપ્રોચ'ની જરૂર છે. આ પરિવર્તનની અસર આગામી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસથી જોવા મળી શકે છે. જોકે સૂર્યકુમારે આગામી 2 વર્ષ સુધી કેપ્ટન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ સતત ખરાબ ફોર્મ અને ઈજા તેમના રસ્તામાં અવરોધ બની શકે છે. ઐયર જો ટીમમાં પરત ફરે છે, તો તેઓ સીધા કેપ્ટન તરીકે જવાબદારી સંભાળે તેવી પ્રબળ શક્યતા છે.
ભારતીય ક્રિકેટમાં આ નેતૃત્વ પરિવર્તનની સત્તાવાર જાહેરાત આગામી થોડા અઠવાડિયામાં થઈ શકે છે, જે ટીમ ઈન્ડિયા માટે એક નવા યુગની શરૂઆત હશે.
